શહેરના અમરાઇવાડી વિસ્તારમાં એક ગેસ્ટહાઉસ પર મોડી રાત્રે ડીસીપી ઝોન-૫ની સ્કવોડ અને અમરાઇવાડી પોલીસે દરોડા પાડી છેલ્લા ઘણા સમયથી ચાલતા એક સેક્સરેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી આઠ ગ્રાહક સહિત દસ આરોપીઓની ધરપકડ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, પરપ્રાંતીય મહિલાઓને બહારથી બોલાવી સેક્સ રેકેટ ચલાવાતુ હતું. પોલીસે ધરપકડ કરેલા આરોપીઓમાં ગેસ્ટહાઉસના માલિક રણજિતસિંહ અને મેનેજર મેઘજીભાઇ પટેલનો પણ સમાવેશ થાય છે. સેક્સરેકેટના આ કૌભાંડમાં પોલીસે ઘટનાસ્થળેથી પકડાયેલી છ રૂપલલનાઓના નિવેદનો નોંધી તેમને મુકત કરી હતી. જો કે, પોલીસના ગેસ્ટહાઉસ પર પાડેલા દરોડાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના અમરાઇવાડી વિસ્તારમાં નાગરવેલ મંદિર પાસે નટરાજ ગેસ્ટહાઉસમાં છેલ્લા ઘણા સમયથી સેક્સરેકેટ ચાલતુ હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે ગઇકાલે મોડી રાત્રે ડીસીપી ઝોન-૫ની સક્વોડે અમરાઇવાડી પોલીસના સ્ટાફ સાથે ઉપરોકત ગેસ્ટહાઉસ ખાતે ભારે ગુપ્તતાપૂર્વક અચાનક દરોડો પાડયો હતો. જેને પગલે ગેસ્ટહાઉસમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. પોલીસે ગેસ્ટહાઉસમાંથી છ રૂપલલના અને આઠ ગ્રાહકોને ઝડપી લીધા હતા. તો, ગેસ્ટહાઉસના માલિક રણજિતસિંહ અને મેનેજર મેઘજીભાઇ પટેલની પણ પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓની પૂછપરછ કરી હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં ખુલાસો સામે આવ્યો હતો કે, આરોપીઓ પ્રરપ્રાંતીય મહિલાઓને બહારથી બોલાવી ગેસ્ટહાઉસમાં સેક્સરેકેટ ચલાવતા હતા. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં આગળની તપાસ જારી રાખી છે. બીજીબાજુ, પોલીસે રૂપલલનાઓ નિવેદન લઇ તેઓને છોડી મૂકી હતી.શહેરના અન્ય વિસ્તારોમાં ચાલતા ગેસ્ટહાઉસ અને હોટલોમાં પણ આ પ્રકારના સેક્સરેકેટ ચાલતા હોવાની અનેક ફરિયાદો સ્થાનિક રહીશોથી માંડી જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવતી હોય છે, તેવા કિસ્સામાં પણ પોલીસ દ્વારા જો નક્કર અને આકરી કાર્યવાહી થાય તો સમાજવિરોધી આ ખરાબ દૂષણ પર લગામ કસી શકાય એવી લાગણી પણ સ્થાનિકોમાં ચર્ચાતી જોવા મળી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ