મહેસાણાથી અમારા સંવાદદાતા મહેશ આસોડિયા જણાવે છે કે,રાજ્યના ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ રાજ્યના ૧૦ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઇ-લોકાર્પણ કર્યા હતા.જે અંતર્ગત મહેસાણા પોલીસ હેડક્વાટર્સ ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ઇન્ટરનેટ ટેકનોલોજી થકી આજે ડીજીટીલ દુનિયા તરફ પ્રયાણ થઇ રહ્યું છે. જેની સાથે સાયબર ક્રાઇમના કેસો પણ વધી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં સાયબર ક્રાઇમને નાથવા માટે ૧ પી.આઇ, ૨ પી.એસ.આઇ સહિત ૨૦ પોલીસ કર્મયોગીઓ કામ કરી રહ્યા છે.
જિલ્લા પોલીસવડા ડો.ગોહિલે ઉમેર્યું હતું કે મહેસાણા જિલ્લામાં “સાયબર ક્રાઇમ એવરનેસ” ટેલીગ્રામ ચેનલ શરૂ કરાઇ છે.આ ચેનલમાં ૧૫૦૦ થી વધુ નાગરિકો જોડાયા છે. તેમ જણાવી આગામી સમયમાં ૧૦ હજારથી વધુ નાગરિકો જોડાય તે માટે પોલીસ કામ કરી રહી છે.
જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે જિલ્લામં ૨૫ સાયબર ક્રાઇમના નોંધાયેલા ગુન્હામાંથી ૦૮ જેટલા ગુન્હાઓ ઉકેલી દેવામાં આવ્યા છે.. મોબાઇલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ દ્વારા ઇન્ટરનેટના માધ્યમ વડે કોઇપણ પ્રકારની લાલચ, છેતરપીંડી, ધાક-ધમકી, નાણાકીય ફ્રોડ, અપમાનજનક ભાષાનો પ્રયોગ, પાસવર્ડ કે અન્ય ડિજિટલ ડેટાની ચોરી કરવી જેવા ગુના એટલે સાયબર ક્રાઇમ જેવા ગુન્હાઓને નાથવા માટે મહેસાણા પોલીસ કટિબધ્ધ છે.મહેસાણા જિલ્લા પોલીસ હેડક્વાટર્સ ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન લોકાર્પણ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભક્તિબા ઠાકર,નાયબ પોલીસ અધિક્ષકશ્રી સહિત પોલીસ કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.