ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર એમ પાંચ જિલ્લાની ૩૨ વિધાનસભા બેઠકો ઉપર શરૂઆતથી માહોલ હતો કે આ વખતે ભાજપના સૂપડાં સાફ થઈ જશે, પણ ટિકિટની ફાળવણી બાદ હવે ચિત્ર બદલાયું હોવાનો ઘાટ જોવા મળી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ટિકિટ ફાળવણીમાં થયેલા લોચાથી કોંગ્રેસને ૧૭ બેઠકો જાળવી રાખવાના ફાંફાં પડશે કે, પછી તેને ઉમેદવારી પસંદગીમાં ખાધેલી થાપ નડશે નહીં તે પરિણામો જ નક્કી કરશે.ઉત્તર ગુજરાતમાં એક સમયે ભાજપ સરકાર વિરોધી લહેર દેખાતી હતી. પૂરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં અપૂરતી સરકારી સહાય તથા ખેડૂતોની ઊપજના ભાવ સહિતના પ્રશ્નોને કારણે આ સ્થિતિ પેદા થઈ હતી. જેમાં પાટીદાર આંદોલનને કારણે કડવા પટેલોની તીવ્ર નારાજગીએ આમાં બળતામાં પેટ્રોલ છાંટવાની ભૂમિકા ભજવી હતી. પરંતુ ત્યારબાદ બનાસકાંઠાથી માંડીને ગાંધીનગર જિલ્લા સુધી ટિકિટોના બખડજંતરને લીધે કોંગ્રેસની બાજી બગડી હોય તેવું લાગી રહ્યું છે.એક તબક્કે ઉત્તર ગુજરાતમાં ભાજપ વિરોધી વાતાવરણના કારણે કોંગ્રેસમાં ટિકિટ માટે બળવાખોરોનો રાફડો ફાટયો હતો. ટિકિટ ના મળતાં મોટા ભાગની બેઠકો ઉપર કોંગ્રેસના બળવાખોરોએ મોટા પ્રમાણમાં અપક્ષ તરીકે ફોર્મ ભર્યા હતાં. પરંતુ છેલ્લા દિવસે કોંગ્રેસના આગેવાનો એહમદ પટેલ તથા હરિ પ્રસાદે બેઠકે બેઠકે ફરી મોટા ભાગના બંડખોરોને સમજાવી ફોર્મ પાછા ખેંચાવડાવ્યા હતા. આમ છતાં હજીયે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારો સામેની નારાજગીને કારણે ભાજપને ચોખ્ખો ફાયદો થઈ શકે છે.
પાછલી પોસ્ટ