રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં આગામી દિવસોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષની વિકાસની સકારાત્મક રાજનીતિના કારણે ૧૫૦થી વધુ બેઠકો મેળવી રાજ્યમાં સરકાર બનાવશે તેવા વિશ્વાસ સાથે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે ભૂતકાળમાં જાતિવાદનું ઝેર ફેલાવવાની નકારાત્મક રાજનીતિ કરી હતી જેને લોકો આજ દિન સુધી ભુલી શક્યા નથી. વર્ષ ૨૦૧૫માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૮૦ ટકા ગ્રામ પંચાયતોમાં ભાજપને વિજય મળ્યો હતો. કોંગ્રેસના ગઢ સમાન તલાલા અને સુરત જિલ્લાની બે વિધાનસભાની પેટા ચૂંટણીઓ અને નગરપાલિકાની ચૂંટણીઓ ભાજપ જીત્યું હતું. હાલ કોંગ્રેસ પાસે નેતાગીરીનો અભાવ છે. ગુજરાતની પ્રગતિ અને વિકાસ અંગેના કોઇ મુદ્દા નથી. જાતિવાદ ઉપર રાજનીતિ કરી રહેલી કોંગ્રેસને શરણે ત્રણ યુવા નેતાઓ ગયા હોવાનું કહી તેમણે આડકતરીરીતે હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર ઉપર પણ નિશાન ટાંકતા કહ્યું કે, આ ત્રણેય નેતાઓને કોંગ્રેસના એજન્ટ છે તેમ કહેવામાં કશું જ ખોટું નથી. આજ દિન સુધી ઉનાના બનાવ અંગે કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે. રાહુલ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, દિલ્હી ખાતે આવેલા અક્ષરધામ મંદિરમાં તેણે પગ મુક્યો નથી અને ગાંધીનગર આવી અક્ષરધામની મુલાકાતે જાય છે. મુખ્યમંત્રીએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ ઉપર પણ આક્ષેપ કરતા કહ્યું કે, નર્મદા યોજનાને ખોરંભે પાડી અને વારંવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં ગુજરાત પ્રત્યે તેમણે ઓરમાયુ વર્તન રાખ્યું હતું. રાજ્યમાં કોંગ્રેસની હાલની કોઇ ચાલ સફળ પુરવાર થશે અને ૩/૪ બહુમતિ સાથે ભાજપ રાજ્યમાં સરકાર બનાવશે.
આગળની પોસ્ટ