નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યની ગ્રામ્ય અને શહેરી વિસ્તારની આશાવર્કર બહેનોને હાલમાં મળતી પ્રોત્સાહક રકમમાં ૫૦%નો તા.૦૧/૦૪/૨૦૧૭ની અસરથી વધારો કરવામાં આવ્યો છે. જેનો રાજ્યની ૪૦,૦૦૦ કરતાં પણ વધુ આશાવર્કર બહેનોને પ્રોત્સાહક રકમમાં વધારાનો લાભ મળશે. જેના કારણે રાજ્ય સરકાર ઉપર અંદાજીત વાર્ષિક રૂ.૫૭.૧૪ કરોડનો બોજો પડશે.
રાજ્યમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આશાવર્કર બહેનો દ્વારા આરોગ્ય સેવાઓના યોગદાનના કદર રૂપે દરેક આશાવર્કર બહેનને વર્ષમાં એક વખત બે સાડી અથવા ડ્રેસ વિના મૂલ્યે આપવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેના માટે રાજ્ય બજેટમાંથી રૂ.૫.૩૦ કરોડ અને એન.એચ.એમ.માંથી રૂ.૧.૮૮ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આશાવર્કર બહેનોને સરકાર દ્વારા નિયત કરેલ આરોગ્ય વિષયક પ્રવૃત્તિઓ માટે કામગીરીના આધારે પ્રોત્સાહક રકમ ચૂકવામાં આવે છે. જે અંદાજે પ્રતિમાસ રૂ.૨,૦૦૦ થી ૨,૫૦૦ જેટલી થતી હોય છે.