અમદાવાદ શહેરને એકતરફ કેન્દ્ર સરકાર દ્વારા મેગાસીટીનો દરજ્જો આપવામા આવ્યો છે ત્યારે બીજી તરફ ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામા આવેલા સર્વે દરમિયાન એવી ચોંકાવનારી હકીકત સામે આવવા પામી છે કે,શહેરમા કુલ મળીને ૨૧૦ જેટલા ટી.પી.રસ્તાઓ ઉપર વિવિધ પ્રકારના દબાણો ખડકાઈ જવા પામ્યા છે.આ અંગેની વિગત એવી છે કે,આ વર્ષે ૮ જુલાઈના રોજ યુનેસ્કો દ્વારા અમદાવાદ શહેરને વૈશ્વિક હેરીટેજ સીટીનો શરતી દરજ્જો આપવામા આવ્યા બાદ એવી શરત મુકવામા આવી હતી કે,અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આવેલા ૨૮ જેટલા હેરીટેજ મોન્યુમેન્ટ દબાણમુકત હોવા જોઈએ આમ છતાં પણ આ સુચનાનો અમલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરાવી શકયુ નથી.જે ભદ્ર પ્લાઝાના વિકાસ પાછળ રૂપિયા ૩૮ કરોડ જેટલી રકમ કેન્દ્ર સરકારના જેએનએનયુઆરએમ વિભાગ તરફથી મેળવીને તેનો વિકાસ કરવામા આવ્યો હતો તેવા ભદ્ર આસપાસના વિસ્તારોમા મધ્યઝોન એસ્ટેટ વિભાગ તરફથી ફેરીયા-પાથરણાવાળાને દુર કરવામા આવે છે પરંતુ ફરી પાછા એક કે બે દિવસમાં આ ફેરીયાઓ પાછા આ જ સ્થળે દબાણો ખડકી દે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વિસ્તારમાં દબાણો કાયમી ધોરણે દુર થાય એ માટેનો કોઈ યોગ્ય ઉકેલ લાવી શકયા નથી જેને કારણે અમદાવાદ શહેરને મળેલો વૈશ્વિક હેરીટેજસીટીનો દરજ્જો ખતરામા પડી શકે છે.આઘાતજનક બાબત તો સામે એ આવવા પામી છે કે,ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ અમદાવાદ શહેરમા આવેલા વિવિધ રસ્તાઓ ઉપરના ખડકાઈ ગયેલા દબાણો અંગે સર્વે કરાવવામા આવતા એવુ તારણ સામે આવવા પામ્યુ છે કે,અમદાવાદ શહેરના વિવિધ ૨૧૦ જેટલા ટી.પી.રસ્તાઓ ઉપર વિવિધ પ્રકારના દબાણો ખડકાઈ જવા પામ્યા છે.આ ખડકાઈ ગયેલા દબાણો પૈકી માત્ર ૫૦ કીલોમીટરના રસ્તાઓ ઉપરના દબાણો દુર કરવામા મ્યુનિસિપલ કોર્પોરેશનને સફળતા મળી છે.આમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના વિવિધ વિસ્તારોના દબાણો દુર કરવામાં નિષ્ફળતાનો આડકતરો સ્વીકાર કર્યો છે.
પાછલી પોસ્ટ