શહેરના ગુલબાઇ ટેકરા વિસ્તારમાં આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ગુલબાઇ ટેકરા શાખામાંથી છેલ્લા બે વર્ષ દરમ્યાન સિલાઇ મશીનના બહાને રૂ.૩૯ લાખ જેટલી જંગી લોન લઇ તેની ભરપાઇ નહી કરી બેંક સાથે ગંભીર વિશ્વાસઘાત અને છેતરપીંડી અંગેની ફરિયાદ ગુજરાત યુનિવર્સિટી પોલીસમથકમાં નોંધાવા પામી છે. વેજલપુરના બે શખ્સો વિરૂધ્ધ નોંધાવાયેલી આ ફરિયાદ સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, આંબાવાડી સર્કલ ખાતે સુંદગોપાલ કોમ્પલેક્ષ ખાતે રહેતાં રાજેશ કૃષ્ણલાલ વર્માએ ગુજરાત યુનિવર્સિટી પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, શહેરના વેજલપુર વિસ્તારમાં સરખેજ રોડ પર આવેલા બહેરીસ્તા કો.ઓ.હા.સોસાયટી ખાતે રહેતા આરોપી મોહમંદ નાવેદ અખ્તરભાઇ દેસાઇ અને અખ્તરભાઇ હુસૈનભાઇએ એકબીજાના મેળાપીપણામાં તા.૧૦-૧૨-૨૦૧૫થી આજદિન સુધીમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ગુલબાઇ ટેકરા શાખામાંથી સિલાઇ મશીન ખરીદવા માટે લોન અંગેની પ્રોસીજર કરી હતી અને તબક્કાવાર બેંકમાંથી આરોપીઓએ અત્યારસુધીમાં કુલ મળી રૂ.૩૯ લાખની જંગી લોન લીધી હતી અને બાદમાં તેની ભરપાઇ કરવામાંથી હાથ ઉંચા કરી દીધા હતા. દરમ્યાન ગુજરાત યુનિવર્સિટી પોલીસે આ બંને આરોપીઓ વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી સમગ્ર મામલામાં આગળની તપાસ હાથ ધરી છે.
પાછલી પોસ્ટ