ભારત સરકારના પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રાષ્ટ્રીય પરિવહન વિકાસ મંડળની ૩૮મી વાર્ષિક બેઠકનો ગુજરાતના વાહન વ્યવહાર રાજયમંત્રી વલ્લભભાઈ કાકડીયા અને અન્ય રાજ્યોના પરિવહન મંત્રીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૧૯૫૭માં સ્થાપિત આ મંડળની બેઠકો અત્યાર સુધી નવી દિલ્હીમાં યોજાઈ છે. ગુજરાતમાં પીપીપીના અભિગમ હેઠળ એરપોર્ટસ જેવા બસ પોર્ટસની સ્થાપના અને ઓટોમેટીક ટેસ્ટીંગ ટ્રેક જેવી સુવિધાઓથી સુસજ્જ અદ્યતન આરટીઓઝની મોડેલ રૂપ વ્યવસ્થાઓ અન્ય રાજ્યોના પરિવહન મંત્રીઓ, પરિવહન સચિવો અને પરિવહન કમિશનરો નિહાળી શકે તેવા આશય સાથે આ બેઠક પ્રથમવાર નવી દિલ્હીની બહાર વડોદરામાં યોજાઈ છે. નીતિન ગડકરીએ જણાવ્યું કે, નાગપુરમાં ૨૦૦ જેટલી ઈલેકટ્રીક કાર્સનો જાહેર પરિવહનમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભારત સરકાર જાહેર પરિવહન વ્યવસ્થાને સક્ષમ બનાવવા અને વૈકલ્પિક બળતણો આધારીત વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપીને પરિવહન દરોમાં ઘટાડો કરવાનું લક્ષ્ય રાખે છે. પરિષદની વર્તમાન બેઠકમાં જાહેર પરિવહનની સુધારણા અને સક્ષમીકરણના ઉપાયોનો વિચાર વિમર્શ કરવામાં આવશે. તેની સાથે જાહેર પરિવહનની આદર્શ નીતિ અને અકસ્માત નિવારણ દ્વારા માર્ગ સુરક્ષાને સમુચિત બનાવવાની વિચારણા કરવામાં આવશે. લંડનમાં ૦૯ જેટલા ઓપરેટર્સ જાહેર પરિવહનના વિવિધ વિકલ્પો ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તેનો દાખલો આપતા તેમણે કહ્યું કે, જાહેર પરિવહનના ક્ષેત્રની આવી વૈશ્વિક સાફલ્ય ગાથાઓની ચર્ચા કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, દેશમાં ૨૨ લાખ જેટલાં ડ્રાઈવર્સની અછત છે. આ ખોટ પુરવા બે હજાર અદ્યતન અને ટેકનોલોજી આધારીત ડ્રાઈવીંગ સ્કુલની સ્થાપના કરવાનું આયોજન છે. ગુજરાતમાં એરપોર્ટસ જેવી જ સુવિધાઓ ધરાવતા બસ પોર્ટસની સ્થાપના અને આરટીઓના અદ્યતનીકરણની કામગીરીને મોડલરૂપ ગણાવીને તેમણએ બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોના સહયોગથી દેશભરના આરટીઓઝના એકસુત્રીકરણ, ઈ-ગર્વનન્સ અને સુવિધાવૃદ્ધિનું અભિયાન શરૂ કર્યું છે. તેમણે મ્યુનિસિપાલીટીઝના પ્લાસ્ટીક વેસ્ટમાંથી ગેસ તેમજ અખાદ્ય તેલીબીયામાંથી તેલ જેવા વૈકલ્પિક બળતણોના વિકાસની જાણકારી આપી હતી અને ઈલેક્ટ્રીક ઓટો રીક્ષા અને બાઈક્સ દાખલ કરવાનો સંકેત આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, દેશના માર્ગો પર કારોની સંખ્યા એટલી બધી ઝડપથી વધી રહી છે કે દર ત્રણ વર્ષે નેશનલ હાઈવેઝમાં એક નવી લેન ઉમેરવી પડે.