શ્રી માતા વૈષ્ણોદેવીના શરીન બોર્ડ, જમ્મુ-કાશ્મીર ટુરીઝમ, સીઆરપીએફ, જે એન્ડ કે પોલીસ અને જમ્મુ-કાશ્મીરના મુસ્કાન ટ્રસ્ટ દ્વારા યોજાતા અનોખા ટેલેન્ટ શોમાં આ વખતે સૌપ્રથમવાર અમદાવાદ શહેરના મનોદિવ્યાંગ બાળકોને તેમની પ્રતિભા બતાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. પ્રથમ ત્રણ નવરાત્રિ દરમ્યાન કટરાના સ્પીરીચ્યુઅલ ગ્રોથ સેન્ટર ખાતે આયોજિત આ ટેલેન્ટ શોમાં નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટના ૧૨ મનોદિવ્યાંગ બાળકોને હનુમાનચાલીસા પર અને એક મનોદિવ્યાંગ બાળકને શિવતાંડવસ્તોત્ર પર ડાન્સ-નૃત્ય રજૂ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સમગ્ર અમદાવાદ શહેર માટે ગૌરવસમી આ વાત છે કે, શહેરના ૧૩ મનોદિવ્યાંગ બાળકોને આવા મહત્વના અનોખા ટેલન્ટ શોમાં તેમની પ્રતિભા બતાવવાની તક મળી છે. આ અંગે નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક નીલેશ પંચાલે જણાવ્યું હતું કે, આ તમામ ૧૩ મનોદિવ્યાંગ બાળકો તા.૧૯મી સપ્ટેમ્બરે ્ટ્રેન મારફતે જમ્મુ જશે અને તા.૨૫મી સપ્ટેમ્બરે તેમની પ્રતિભા બતાવ્યા બાદ પરત ફરશે. બાળકોની રહેવા, જમવા સહિતની સુવિધાનો ખર્ચ શ્રી માતા વૈષ્ણોદેવીના શરીન બોર્ડ, જમ્મુ-કાશ્મીર ટુરીઝમ, સીઆરપીએફ, જે એન્ડ કે પોલીસ અને જમ્મુ-કાશ્મીરના મુસ્કાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. સમગ્ર દેશમાં કુલ ૬૦૦ જેટલા દિવ્યાંગો આ કાર્યક્રમમાં ભાગ લેવા જઇ રહ્યા છે. વૈષ્ણોદેવી માતાની અસીમ કૃપાથી મનોદિવ્યાંગ બાળકોની મુસાફરી વિના વિધ્ને પૂર્ણ થાય અને તેઓ ટેલેન્ટ શોમાં અદ્ભુત પ્રદર્શન કરી બતાવે તેવી સૌએ શુભેચ્છા પાઠવી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ