સુપ્રીમ કોર્ટે નીટની પરીક્ષાના વિવાદને લઇને રાજ્યમાં કોઇપણ પ્રકારના આંદોલન ન થાય તેની ખાતરી કરવા તમિળનાડુ સરકારને સ્પષ્ટ આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે એવો આદેશ પણ કર્યો છે કે, રાજ્યમાં સામાન્ય જનજીવનને અસર કરે અને નાગરિકોના જનજીવન આડે અડચણો ઉભી થાય તેવી કોઇપણ પ્રકારની પ્રવૃત્તિમાં સામેલ રહેલા લોકો સામે યોગ્ય કાયદા હેઠલ કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહી કરવા માટે પણ સુપ્રીમ કોર્ટે સૂચના આપી દીધી છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વમાં બેંચ દ્વારા આ મુજબનો આદેશ કરવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે,નીટની પરીક્ષા સુપ્રીમ કોર્ટ દ્વારા પહેલાથી જ યોગ્ય ઠેરવવામાં આવી ચુકી છે. વચગાળાના પગલારુપે એવી જાહેરાત પણ કરવામાં આવી ચુકી છે કે, ચીફ સેક્રેટરી અને પ્રિન્સિપલ સેક્રેટરીને હવે એવી ખાતરી કરવાની જરૂર છે કે, નીટની પરીક્ષા સાથે સંબંધિત મામલામાં કોઇપણ પ્રકારના આંદોલન ન થાય. કારણ કે કોર્ટે આ પરીક્ષાને લઇને તમામ ખુલાસા કરી દીધા છે. સુપ્રીમ કોર્ટે તમિળનાડુ સરકારને નોટિસ જારી કરી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવા માટે રાજ્ય સરકારને આદેશ કરવાની માંગ કરતી અરજી ઉપર તમિળનાડુ સરકારને નોટિસ આપવામાં આવી છે.