નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન ગાંધીનગર પ્રાયોજિત અને નહેરૂ યુવા કેન્દ્ર-નર્મદા આયોજિત ૧૫ દિવસીય ઇન્ડક્સન તાલીમ શિબિરનો ઉદઘાટન સમારોહ શ્રી છોટુભાઇ પુરાણી ડીગ્રી કોલેજના આનંદ ભવન હોલ ખાતે યોજાયો હતો. નાંદોદ પ્રાંત અધિકારીશ્રી ધવલ પંડ્યા, નહેરૂ યુવા કેન્દ્ર – ગાંધીનગરના નિયામકશ્રી એસ.એસ. પુરોહિત, ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલ, આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ- નર્મદાના પ્રાચાર્ય ડૉ. શૈલેન્દ્રસિંહજી માંગરોલા, છોટુભાઇ પુરાણી ડીગ્રી કોલેજના પ્રાચાર્યશ્રી સી.બી. કગથરા, અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવી, શ્રી નિલ રાવ,, નવોદય વિદ્યાલય કેવડીયાના આચાર્ય સુશ્રી સેફાલી સિંદે અને નહેરૂ યુવા કેન્દ્ર- નર્મદાના વી.બી. તાવડે વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી આ ૧૫ દિવસીય યુવા શિબિરનો શુભારંભ કરાવ્યો હતો
ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઇ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આ તાલીમ શિબિરમાં ભાગ લેવો એ નશીબ છે. ગુજરાતનું કાશ્મીર એટલે હરિયાળા નર્મદા જિલ્લામાં મા નર્મદાના કાંઠે તાલીમ લેવાનો સુનેરો અવસર તાલીમાર્થીઓને પ્રાપ્ત થયો છે. સંસ્કાર, સ્વચ્છતા, સ્વસ્થતા અને સમૃધ્ધિ આ ચાર પરિબળો દ્વારા જીવન ઘડતર ચરિતાર્થ કરવા શ્રી પટેલે અનુરોધ કર્યો હતો.
આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રાધ્યાપકશ્રી ડૉ. શૈલેન્દ્રસિંહજી માંગરોલાએ આદિકાળથી આજસુધી પ્રગતિની વાત કરતા જણાવ્યું હતું કે, આમા ઇન્સાન ક્યાં છે? આપણે કંઇ બનીએ કે ના બનીએ પણ માણસ જરૂર બનીએ. સરકાર આયોજન કરે છે, યોજનાઓ બનાવે છે પણ આપણે આપણી ફરજ નિભાવવી જોઇએ. દેશની સુરક્ષાની જવાબદારી પણ આપણી છે. રાષ્ટ્રના ઘડતરમાં યોગદાન આપી નાગરિક ધર્મ અપનાવી સર્જનાત્મક કામો કરવાની ડૉ. માંગરોલાએ આહવાન કર્યું હતું.
શ્રી છોટુભાઇ ડીગ્રી કોલેજના પ્રાચાર્યશ્રી સી.બી. કગથરાએ યુવાનોને આ તાલીમમાંથી માર્ગદર્શન લઇ પોતાના ક્ષેત્રમાં બહોળો પ્રચાર-પ્રસાર કરી રાષ્ટ્રના નિર્માણમાં કામે લાગી જવા હાંકલ કરી હતી.
નહેરૂ યુવા કેન્દ્રના નિયામકશ્રી એસ.એસ. રાજગોરે સ્વચ્છતા અને સ્વસ્થતા, બેટી બચાવો – બેટી પઢાવોના માન. વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવાની હિમાયત કરતા જણાવ્યું હતું કે, દર વર્ષે આવી તાલીમ શિબિર યોજવામાં આવે છે. નર્મદા જિલ્લામાં દેશનું એક મોટુ તાલીમ કેન્દ્ર બને દેશભરના યુવાનો નર્મદા જિલ્લામાં આવી આ હરિયાળી અને સંસ્કારનગરીમાં તાલીમ મેળવે તેવી આશા વ્યક્ત કરી હતી. નહેરૂ યુવા કેન્દ્રને રાષ્ટ્રીય સ્તરે નામના પ્રાપ્ત કરવાની સૌને શુભેચ્છા પાઠવી હતી.
શ્રીમતી ભારતીબેન તડવીએ બેટી બચાવો – બેટી પઢાવો, કન્યા કેળવણી થકી દરેક ક્ષેત્રે મહિલાઓ નિર્ભયતાથી કામ કરતી થઇ છે અને ઉચ્ચ હોદ્દાઓ પ્રાપ્ત કરી દેશમાં નામના મેળવી છે તેમ જણાવ્યું હતું. યુવા કેન્દ્રની તાલીમથી યુવાનોની શક્તિઓ ખીલે છે. યુવાનોએ તાલીમ લઇ ખંતથી કામ કરવા અનુરોધ કર્યો હતો.
શ્રી નિલ રાવે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં યુવાનોએ આગળ આવી યોગદાન આપ્યું છે. અંગ્રેજોની ગુલામીમાંથી દેશને છોડાવવા હજારો યુવાનોએ કુરબાની આપી છે. આ દેશ એ યુવાઓનો દેશ છે. યુવાનોના માધ્યમથી જનજાગૃત્તિ થકી દેશનો વિકાસ થાય છે. યુવાનોએ સંસ્કાર અને સંસ્કૃતિથી ચારિત્ર્યનું ઘડતર કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે નવોદય વિદ્યાલયના આચાર્યા સુશ્રી શેફાલીબેન શેખે રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરતી કવિતાનું પઠન કરી સૌન મંત્રમુગ્ધ કરી દીધા હતા.
કાર્યક્રમનના શુભારંભ સાથે નવોદય વિદ્યાલય કેવડીયાના બાળકો દ્વારા માન. વડાપ્રધાનશ્રીના સ્વચ્છ ભારત – સ્વસ્થ ભારત અને બેટી બચાવો – બેટી પઢાવોના સુત્રને સાર્થક કરતું નાટક રજુ કર્યું હતું, જે ઉપસ્થિત સૌના હ્રદયને સ્પર્શી ગયું હતુ.
કાર્યક્રમની શરૂઆતમાં નર્મદા નહેરૂ યુવા કેન્દ્રના શ્રી વી.બી. તાવડેએ સૌનું શાબ્દિક સ્વાગત કરી શિબિરની રૂપરેખા આપી હતી. જ્યારે અંતમાં શ્રી વસંતભાઇએ આભારવિધિ સંપન્ન કરી હતી.
રાજ્યના દોહોદ, ગોધરા, મહિસાગર, વડોદરા, ભરૂચ, નડીયાદ, વલસાડ, સુરત, નર્મદા, ડાંગ, તાપી, નવસારી વગેરે જિલ્લામાંથી આવેલા આશરે ૧૦૦ જેટલા તાલીમાર્થીઓને તા. ૧૬ મી ઓગષ્ટથી તા. ૩૦ મી ઓગષ્ટ સુધી ૧૫ દિવસની તાલીમ આપવામાં આવશે. વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા તજજ્ઞો દ્વારા આ તાલીમાર્થીઓને દરરોજ વિવિધ પ્રવૃત્તિઓના ટાસ્કમાં તાલીમ આપવામાં આવશે.
આ પ્રસંગે શ્રી યોગેશભાઇ વસાવા, શ્રી ચંદ્રકાન્તભાઇ વણકર, શ્રી સંજયભાઇ વસાવા, શ્રીમતી દત્તાબેન ગાંધી, નગરજનો અને તાલીમાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.