Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં આ વર્ષે કાળઝાળ ગરમી પડશે, હીટવેવની આગાહી

માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે અને થોડા જ દિવસોમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં તાપમાન વધવા લાગશે. આ વર્ષે જોઈએ તેવી ઠંડી નથી પડી, પરંતુ ગરમીમાં તીવ્ર વધારો થવાની શક્યતા છે. ભારતમાં આ વર્ષે અલ નિનોની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે જેના કારણે માર્ચ મહિનાથી લઈને મે સુધી સખત ગરમી પડશે. હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું કે આ વખતે મે સુધી આકરી ગરમી, હીટવેવ અને લૂ લાગવાની શક્યતા છે, તેના કારણે આ ગાળામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે. તેવી જ રીતે આ સમયમાં હીટવેવની સંખ્યા પણ વધુ રહી શકે છે. હાલમાં ઉત્તર ભારતમાં વાતાવરણ પલટાયું છે. જેના કારણે આગામી ત્રણ-ચાર દિવસ સુધી વરસાદ પડવાની શક્યતા છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત ગુજરાતમાં તાપમાન ઘટ્યું છે. પરંતુ આ દોર પૂરો થતા જ તાપમાન વધવા લાગશે. હાલમાં તો જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાના કારણે સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે. તાજેતરની માહિતી અનુસાર હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે 600થી વધુ રસ્તા બંધ થઈ ગયા છે.

મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું કે, ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ, મધ્યના કેટલાક વિસ્તારોને બાદ કરતા મોટાભાગના ભારતમાં આ વખતે તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે. દેશના કેટલાક ભાગોમાં, ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં હીટવેવવાળા દિવસોની સંખ્યા આ વખતે વધી જશે. મે 2024 પછી દેશમાં સ્થિતિ સામાન્ય બનવાની સંભાવના છે. આ વખતે ફેબ્રુઆરીમાં પણ ખાસ ઠંડી નથી પડી. આ વખતે ફેબ્રુઆરીમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 14.60 ડિગ્રી સે. નોંધાયું હતું. વર્ષ 1901 પછી ફેબ્રુઆરીમાં આ સૌથી ઊંચું તાપમાન હતું.

માર્ચથી મે મહિનાના દરમિયાન આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગોમાં પણ કાળઝાળ ગરમી પડે તેવી શક્યતા છે. સાઉથ ઈન્ડિયામાં તો અત્યારથી ગરમી શરૂ થઈ ગઈ છે. તેલંગણાના હૈદરાબાદ અને અન્ય ભાગોમાં અત્યારથી ગરમીનો પારો 40 ડિગ્રી સે.ના સ્તરે પહોંચી ગયો છે. આ રાજ્યમાં આગામી પાંચ દિવસમાં તાપમાન 37થી 40 વચ્ચે રહેવાની સંભાવના છે. બીજી તરફ ઉત્તર ભારતમાં વાતાવરણ પલટાયું છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા ચાલુ છે અને મેદાની પ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે. હિમવર્ષાના કારણે હિમાચલમાં ઘણા વિસ્તારોમાં વીજળી અને પાણીની સુવિધા ઠપ થઈ ગઈ છે. રવિવારે સવારે ભૂસ્ખલન થવાથી ચીનાબ નદીમાં પાણીના પ્રવાહમાં અવરોધો ઊભા થયા હતા. રાજ્યમાં છેલ્લા બે દિવસથી હિમવર્ષા અને વરસાદના કારણે પાંચ રાષ્ટ્રીય હાઈવે સહિત 650થી વધુ રસ્તા બંધ થઈ ગયા છે

આવી સ્થિતિમાં સ્થાનિક તંત્રે લોકોને શિમલાના પર્વતીય વિસ્તારોમાં પ્રવાસ નહીં કરવાની સલાહ આપી છે. રવિવારે દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદ અને કરાં પડયા હતા. ઉત્તર પ્રદેશમાં અલગ અલગ વિસ્તારોમાં વીજળી પડવાના કારણે ચાર લોકોનાં મોત નીપજ્યાં હતા.

Related posts

ગૂગલ પરથી ઉઠી રહ્યો છે લોકોનો ભરોસો

aapnugujarat

Fire breaks out at a building in Delhi’s Zakir Nagar, 6 died

aapnugujarat

ShivSena asks questions to PM Modi over Galwan valley clash

editor
UA-96247877-1