Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં એક વર્ષમાં 10 લાખ મકાનો પર સોલર પેનલ ઈન્સ્ટોલ થશે

નરેન્દ્ર મોદીએ તાજેતરમાં પીએમ સૂર્ય ઘર યોજના લોન્ચ કરી છે જેમાં લોકો પોતાના ઘરની છત પર સોલર પેનલ લગાવશે અને તેની સામે તેમને વીજળીનો ખર્ચ નહીં આવે. ગુજરાત સરકાર પણ આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં મોટા પાયે આગળ વધવા માંગે છે. રાજ્યમાં એક વર્ષમાં લગભગ 10 લાખ ઘર પર સોલર પેનલ ઈન્સ્ટોલ કરવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાત સરકારે કેલેન્ડર વર્ષ 2024માં 10 લાખ ઘરને રૂફટોપ સોલર ફેસિલિટી આપવાનું નક્કી કર્યું છે. આ યોજનામાં લોકો દર વર્ષે લગભગ 15,000થી 18,000 રૂપિયાનો વીજળીનો ખર્ચ બચાવી શકશે તેમ માનવામાં આવે છે. ગુજરાતમાં સોલર રૂફટોપની સ્કીમ 5 ઓગસ્ટ 2019ના રોજ રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી હતી તેના હેઠળ ગુજરાતમાં ગ્રીન એનર્જીનો પ્રોત્સાહન આપવા અને લોકોને લાઈટનું બિલ ઓછું આવે તે માટે સોલર પેનલ ઈન્સ્ટોલ કરવામાં મદદ કરવામાં આવી હતી.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમના એક અધિકારીએ જણાવ્યું કે દેશમાં સોલર રૂફટોપ ઈન્સ્ટોલ કરવામાં ગુજરાત પ્રથમ ક્રમ પર છે. આખા દેશમાં રૂફટોપ સોલર ઈન્સ્ટોલેશનની જે કેપેસિટી છે તેમાં એકલું ગુજરાત 81 ટકા હિસ્સો ધરાવે છે. રહેણાક ઘરો માટે ગુજરાતના સોલર પાવર મોડેલને બીજા રાજ્યો માટે પણ આદર્શ ગણાવવામાં આવ્યું છે.

પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજના લગભગ 75,000 કરોડનો પ્રોજેક્ટ છે જેનાથી લગભગ એક કરોડ ઘરોમાં સોલર પાવરનું ઉત્પાદન કરવામાં આવશે. સરકાર આ સ્કીમ દ્વારા 300 યુનિટ વીજળી મફતમાં પૂરી પાડવાની યોજના ધરાવે છે. આ સ્કીમમાં સારી એવી સબસિડી મળે છે તથા અત્યંત રાહતદરે બેન્ક લોન પણ આપવામાં આવે છે. આ સ્કીમમાં લોકો પર કોઈ બોજ ન આવે તે માટે સરકાર પગલાં લેશે.

હાલમાં ગુજરાત સરકાર પ્રથમ 3 કિલો વોટ માટે 40 ટકા સબસિડી આપે છે જ્યારે 3 કિલો વોટથી ઉપર અને 10 કિલો વોટ સુધી 20 ટકા સબસિડી મળે છે. ગ્રૂપ હાઉસિંગ સોસાયટીઓને કોમન ફેસિલિટી કનેક્શન માટે 20 ટકા સબસિડી મળે છે. જીયુવીએનએલના ડેટા પ્રમાણે જાન્યુઆરી 2024ના આંકડા મુજબ કુલ 5.21 લાખ રૂફટોપ સોલર ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યા હતા જેની કુલ કેપેસિટી 2073 મેગાવોટ હતી. ગુજરાતમાં તેના પર 3155 કરોડની સબસિડી આપવામાં આવી છે.
પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજનામાં ગ્રાહકના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સબસિડીની રકમ જમા કરવામાં આવશે. ગુજરાતમાં ચાલુ કેલેન્ડર વર્ષમાં જ 10 લાખ રેસિડેન્શિયલ રૂફટોપ સોલર ઈન્સ્ટોલેશન કરવામાં આવશે.

Related posts

ઓઢવમાં ગટર સફાઇ વખતે ગેસ ગળતરથી ચારના મોત

aapnugujarat

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા સંકુલ ખાતે રક્ષાબંધનની અનોખી ઉજવણી

editor

મોરબીમાં બહેનનાં ઘેર ગયેલાં ભાઈની હત્યા

aapnugujarat
UA-96247877-1