કાળિયાર કેસમાં સંડોવણી બદલ બિશ્નોઈ સમાજની માફી ન માગી તો ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે તેવી ધમકી હાલ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ (Lawrence Bishnoi) સલમાન ખાનને (Salman Khan) આપી છે. જેલમાંથી આપેલા લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં ગેંગસ્ટરે આ ધમકી આપી છે. એબીપી ન્યૂઝ સાથે વાતચીત કરતાં તેણે કહ્યું કે, તેણે તેમનું અપમાન કર્યું તેથી તેનો સમાજ નારાજ છે. ‘તેની સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ તેણે માફી માગી નહોતી, જો તે માફી નહીં માગે તો ગંભીર પરિણામ માટે તૈયાર રહેવું પડશે. હું અન્ય કોઈ પર નિર્ભર રહીશ નહીં’. તેણે એક્ટરને જમ્બેશ્વરજી મંદિર સામે બિશ્નોઈ સમાજની માફી માગવા માટે કહ્યું હતું. આ સાથે જો સમાજ તેને માફ કરશે તો પીછેહઠ કરવાનું વચન આપ્યું હતું. લોરેન્સે કહ્યું હતું કે ‘તેણે અમારા ભગવાનના મંદિરે આવી માફી માગવી જોઈએ. જો અમારો સમાજ માફ કરી દેશે તો હું કંઈ બોલીશ નહીં’.
પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની હત્યામાં સંડોવણી હોવાનો સ્વીકાર કરનારા લોરેન્સ બિશ્નોઈએ સલમાન ખાન અને તેના પિતા સલીમને ગત વર્ષે મળેલા ધમકીભર્યા પત્રમાં પોતાની સંડોવણી ન હોવાનું કહ્યું હતું. તેણે કહ્યું હતું કે ‘મુંબઈ પોલીસે મારી પૂછપરછ કરી હતી. મેં ધમકીભર્યો પત્ર મોકલ્યો નહોતો’. ઉલ્લેખનીય છે કે, 2022ના જૂન મહિનામાં સલમાનને એક પત્ર મળ્યો હતો, જેમાં મૂસેવાલાની જેમ તેનો અંત આવશે તેવું લખવામાં આવ્યું હતું. ધમકી બાદ એક્ટરને Y+ સુરક્ષા અને ગનનું લાઈસન્સ પણ આપવામાં આવ્યું. એક્ટરે પોતાની કારને પણ બુલેટ-પ્રૂફમાં અપગ્રેડ કરી છે અને ઘર-ઓફિસની આસપાસ સુરક્ષા વધારી છે.
રિપોર્ટ્સ પ્રમાણે, સલમાન ખાને કથિત રીતે કાળિયારનો શિકાર કર્યો હતો, જેની પૂજા બિશ્નોઈ સમાજ દ્વારા કરવામાં આવે છે તેમજ 1972ના વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટર હેઠળ સંરક્ષિત પ્રજાતિ પણ છે. એક્ટરે 1998માં આવેલી ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન કાળિયારને ગોળી મારી હતી. બિશ્નોઈ સમાજે આ મામલે જોધપુરની કોર્ટમાં અરજી કરતાં સલમાનને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. જો કે, તેને તરત જ જામીન મળી ગયા હતા
આ ઈન્ટરવ્યૂમાં તેણે સિદ્ધૂ મૂસેવાલા કેસ સાથે જોડાયેલા કેટલાક ખુલાસા પણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, હત્યાનું પ્લાનિંગ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું હતું. તેણે કહ્યું હતું કે, સિદ્ધુ તેની ગેંગની ખૂબ જ નજીકની વ્યક્તિ વિક્કી મિડ્દુખેરાને મારનારા લોકોને બચાવી રહ્યો હતો. તે ડોન બનવા માગતો હતો અને તેથી જ મિડ્દુખેરાની હત્યા કરી હતી. અંતમાં તેણે સિંગરની હત્યા માટે હથિયાર ઉત્તરપ્રદેશથી ખરીદવામાં આવ્યું હોવાનું કહ્યું હતું.