કોરોના કાળ બાદ વાયા કડોદ થઈને જતી એક્સપ્રેસ બસ બંધ કરી દેવામાં આવતાં મુસાફરો અને નોકરિયાત વર્ગોને હાલાકી પડી રહી છે. બસ ચાલુ કરવા અંગે મુસાફરો દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવતાં માંડવી ડેપો મેનેજર મનમાની ચલાવી ના પાડી દે છે. કોરોનાની સ્થિતિ થાળે પડતાં એસટી ડેપો દ્વારા બંધ થયેલા રૂટો ફરી કાર્યરત કરવામાં આવી રહ્યાં છે. જ્યારે એક્સપ્રેસના રૂટો હજુ પણ બંધ રહેતા મુસાફરો અને નોકરિયાતમાં નારાજગી જોવા મળી રહી છે. માંડવી ડેપોની સવારે 7.30 વાગ્યાની મઢી – અમદાવાદ બસ ફૂલ હોય છે. જેના કારણે કડોદના નોકરિયાત કે મુસાફરો આ બસનો લાભ લઈ શકતા નથી. જ્યારે ત્યારબાદ આવતી 7.40ની બસ બંધ કરી છે. કોરોના કાળ પહેલા સવારે 7.45, 8.45 અને સાંજે 6.30ની એક્સપ્રેસ ચાલતી હતી તે બંધ કરી છે. આ સાથે કેટલાક લોકલ રૂટો પણ બંધ કરી દેવાતાં મુસાફરો અને નોકરિયાત વર્ગોને હાલાકી પડી રહી છે. આ અંગે માંડવી ડેપો મેનેજર, બારડોલી ડેપો મેનેજર અને સુરત કચેરી ખાતે ફરિયાદ કરી હોવા છતાં યોગ્ય નિકાલ આવ્યો નથી. માંડવી ડેપો મેનેજર એક્સપ્રેસ રૂટ શરૂ કરવા બાબતે જણાવતા તેમના દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવતો ન હોવાથી મુસાફરો અકળાઈ ઉઠ્યા છે. આ અંગે તેઓ ઉપલી કચેરીમાં રજૂઆત કરવાની તૈયારી બતાવી છે.