આમ આદમી પાર્ટીના સસ્પેન્ડેડ ધારાસભ્ય અને દિલ્હી સરકારના પૂર્વ પ્રધાન કપિલ મિશ્રા હવે સત્યેન્દ્ર જૈન અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સામે કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપોના પૂરાવા લોકાયુક્તને સોંપશે.અહેવાલો અનુસાર કપિલ મિશ્રા કેજરીવાલ સરકાર વિરુદ્ધ ૧૬,૦૦૦ પાનાંના પુરાવા લોકાયુક્તને સોંપશે. આ જાણકારી કપિલ મિશ્રાએ સ્વયં ટિ્વટર દ્વારા શેર કરી હતી.
આ અગાઉ કપિલ મિશ્રાને બુધવારે લોકાયુક્તના કાર્યાલયમાં જવાનું હતું, પરંતુ હવે તેમને ૬ જુલાઈનો સમય મળ્યો છે એટલે આજે કપિલ મિશ્રા લોકાયુક્તના કાર્યાલયમાં જઈને કેજરીવાલ સરકાર વિરુદ્ધ આક્ષેપોના પુરાવા સુપરત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાન પદેથી હકાલપટ્ટી પામ્યા બાદ કપિલ મિશ્રાએ દિલ્હી સરકારના પ્રધાન સત્યૈન્દ્ર જૈન અને મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સામે ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મુક્યા હતા અને તેની ફરિયાદ લોકાયુક્ત કાર્યાલયમાં કરી હતી. મે મહિનાનાં છેલ્લા સપ્તાહમાં કપિલ મિશ્રા લોકાયુક્ત સમક્ષ સત્તાવાર નિવેદન પણ નોંધાવી ચૂક્યા છે.