સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષા ફીમાં અઢીસો ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે જ્યારે સામાન્ય વર્ગના લાખો વિદ્યાર્થીની પરીક્ષા ફીમાં બમણો વધારો ઝીંકવામાં આવ્યો છે.
કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા સામાન્ય, દલિત, આદીવાસી સહિતના ધોરણ-૧૦ના ૨૭ લાખ અને ધોરણ-૧૨ના ૩૧ લાખ વિદ્યાર્થીઓના શિક્ષણના હકને છીનવી લેવાના નિર્ણયને તાત્કાલીક પરત ખેંચવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કેન્દ્રની મોદી સરકારની નીતિ અને નિયતના કારણે દલિત અને આદીવાસી વિદ્યાર્થીઓ સીધો ભોગ બની રહ્યા છે. થોડાક લોકોનો વિકાસ અને ગરીબો અને સામાન્ય શોષિત વર્ગની સાથે વિશ્વાસઘાત ભાજપ સરકારની નિયત અને નીતિ છે,મનિષ દોશીએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું કે, ‘સબકા સાથ સબકા વિકાસ’ની સરકારી ખર્ચે મોટી મોટી જાહેરાતો કરે છે પણ હકીકતમાં, ભાજપ સરકારના એક પછી એક પગલાથી દેશમાં સતત અસમાનતામાં મોટા પાયે વધારો થઈ રહ્યો છે. સીબીએસઇ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના કુલ ૫૮ લાખ વિદ્યાર્થીઓ પર પરીક્ષા ફીના જંગી વધારા ઝીંકવા સાથે દલિત, આદિવાસી વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે શિષ્યવૃત્તિમાં પણ કેન્દ્રની ભાજપ સરકારે મોટા પાયે ઘટાડો કર્યો છે.તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે, અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ધોરણ-૧૦ પછી કેન્દ્ર સરકાર દ્વારા અપાતી શિષ્યવૃત્તિમાં ૩૦૦૦ કરોડ રૂપિયાનો મોટા પાયે ઘટાડો કરવામાં આવ્યો છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના પીએચડી શિષ્યવૃત્તિમાં ભાજપ સરકારે ૪૦૦ કરોડનો ઘટાડો કર્યો છે.
આગળની પોસ્ટ