રાજ્યના બંદરો અને વાહન વ્યવહાર વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ રાજ્ય માર્ગ વાહન વ્યવહાર કોર્પોરેશનને સલાહ-માર્ગદર્શન આપવાના હેતુથી પાલનપુર, મહેસાણા અને ભરૂચ વિભાગની સલાહકાર સમિતિઓની રાજ્ય સરકાર દ્વારા પુનઃ રચના કરવામાં આવી છે. આ ૧૮ સભ્યોની સલાહકાર સમિતિમાં જે તે વિભાગના વિભાગીય નિયામક અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ વેસ્ટર્ન રેલવેના આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર સરકારી સભ્ય તરીકે રહેશે. આ ઉપરાંત જે તે જિલ્લાના વિવિધ વિસ્તારના અગ્રણી નાગરિકોનો બિન સરકારી સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આ સલાહકાર સમિતિ એસ.ટી.બસ સેવાઓનું સમય પત્રક, મુસાફરીમાં જનતાને અનુભવવી પડતી સામાન્ય તકલીફો, મુસાફરો વાજબી દરે ખાનપાનની, વેઇટીંગ શેડની, પ્રવાસ માટે પીવાનું પાણી પુરુ પાડવું વગેરે સુવિદ્યાઓનો પ્રબંધ કરવો, મુસાફરો તરફથી મળેલી ફરિયાદોનો નિકાલ, કોર્પોરેશનના બે અથવા વધારે વિભાગો વચ્ચે રેલવેની સેવાઓ અથવા વાહન વ્યવહારની સેવાઓ વચ્ચેના સંકલનને લગતી બાબતો તેમજ કોર્પોરેશન વખતોવખત સમિતિના ધ્યાન પર લાવે તેવી અન્ય બાબતો ઉપર સલાહ આપશે.