અગાઉની યૂપીએ સરકાર તરફથી શરૃ કરવામાં આવેલી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના હેઠળ નરેન્દ્ર મોદી સરકારને સબસિડી દ્વારા સૌથી વધુ બચત થઇ રહી છે. મોદી સરકારે આધારના ઉપયોગ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના ઉપયોગ મારફતે આ યોજનાના એક કરોડ બનાવટી લાભાર્થીઓને દૂર કરીને વધુ વ્યવસ્થિત બનાવી દીધી છે. મોદી સરકારે દાવો કર્યો છે કે, છેલ્લા નાણાંકીય વર્ષમાં અનેક યોજનાઓમાં ડીબીટી મારફતે જંગી બચત કરી લેવામાં આવી છે. સરકારે ૨૦૧૪થી લઇને માર્ચ ૨૦૧૭ સુધી ડીબીટી મારફતે કુલ ૫૭૦૨૭ કરોડ રૂપિયા બચાવી લીધા છે. સરકારી આંકડા મુજબ નાણાંકીય વર્ષમાં લીકેજને રોકીને બચતના મામલામાં યુપીએની તરફથી શરૂ કરવામાં આવેલી સ્કીમ મનરેગા ટોપ ઉપર રહી છે. આ પહેલાના વર્ષોમાં સરકારની એલપીજી સ્કીમથી સૌથી વધારે બચત થઇ હતી. સરકારે દાવો કર્યો છે કે, વર્ષ ૨૦૧૬-૧૭માં મનરેગા માટે ડીબીટી ચુકવણીથી ૮૭૪૧ કરોડની બચાત થઇ હતી. પહેલા બચત મારફતે ૮૧૮૫ કરોડ રૂપિયા બચાવી લેવાયા હતા. મનરેગા ખાતાઓના રેકોર્ડ સંખ્યામાં આધારથી લીંક કરી દેવામાં આવ્યા છે જેથી એક કરોડ બનાવટી જોબ કાર્ડ ખતમ કરવામાં સફળતા મળી છે. મનરેગા હેઠળ જોબકાર્ડની સંખ્યા પહેલા ૧૩ કરોડ દર્શાવવામાં આવી હતી જે ૨૦૧૬-૧૭માં ઘટીને ૧૨ કરોડ થઇ ગઇ હતી. સરકારે મોટાપાયે અભિયાન ચલાવીને એક વર્ષમાં આ સ્કીમ સાથે જોડાયેલી ગેરરીતિઓને ખતમ કરી દીધી છે. રસપ્રદ બાબત એ છે કે, યુપીએની સબસિડી સ્કીમ સરકાર માટે સૌથી વધારે બચત લઇને આવી છે. ૮૫ ટકા મનરેગા ખાતાને આધાર સાથે લીંક કરી દેવામાં આવ્યા છે. ૨૦૧૪થી હજુ સુધી મનરેગા હેઠળ કુલ બચત ૧૧૫૪૧ કરોડ રૂપિયા રહી છે. મોદી સરકારે સત્તા સંભાળ્યા બાદ જંગી બચત થઇ રહી છે.