અમદાવાદ શહેરમાં ૨૫ જુનના રોજ હર્ષોલ્લાસ સાથે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૦મી રથયાત્રાને લઈને પોલીસે અત્યારથી જ સઘન સુરક્ષા વ્યવસ્થા માટે કવાયત હાથ ધરી છે.જેમાં શહેરના ૨૨ કિલોમીટર લાંબા માર્ગ પર ૧૫૦૦ સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યાં છે. તેમજ અત્યારથી જ સમગ્ર માર્ગ પર ડ્રોન કેમેરાની મદદથી મેપિંગ શરુ કરી દેવામાં આવ્યું છે.
રથયાત્રાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે.તેવા સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે અત્યારથી જ વિવિધ વિસ્તારોની રૈકી શરુ કરી દીધી છે. રથયાત્રાના દિવસે ડ્રોન દ્વારા મેપિંગ કરવામાં આવશે જેની સીધી કનેક્ટીવીટી પોલીસ કમિશ્નર કચેરી ખાતે રહેશે અને તેઓ પોલીસને જુદા જુદા નિર્દેશ આપશે.આ ઉપરાંત પોલીસ કમિશ્નર કચેરી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ ઉપરાંત અન્ય બીજા બે કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યા છે.જે દરિયાપુર અને શાહપુર વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે.પોલીસ અત્યારથી જ તેમના વિસ્તારના તડીપાર અને માથાભારે તત્ત્વોને શોધી તેમના પર અટકાયતી પગલા લઈ રહ્યા છે. બીજી તરફ કોટ વિસ્તારમાં અંદરના ભાગો સુધી પોલીસનો બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે અને એસઆરપીની ટુકડીઓ પણ અત્યારથી જ અંતરિયાળ વિસ્તારોમાં તૈનાત કરી દેવાઈ છે. આ ઉપરાંત પોલીસ માટે રથયાત્રા અને ઈદ એક જ દિવસે હોવાની શક્યતાને પગલે માટે વધુ બંદોબસ્ત કરવાની ફરજ પડી છે.
આગળની પોસ્ટ