દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી વિશે આપવામાં આવેલુ વડાપ્રધાન મોદીનું નિવેદન વિવાદ ઉપજાવી રહ્યુ છે. કોંગ્રેસ તરફથી સતત વડાપ્રધાન મોદીના આ નિવેદનની ટીકા થઈ રહી છે. ગુરુવારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યુ.
પટેલે ટ્વીટ દ્વારા વડાપ્રધાન મોદીની ટીકા કરતા લખ્યુ કે શહીદ વડાપ્રધાનને ગાળો આપવી કાયરતાની નિશાની છે.અહેમદ પટેલ આગળ લખ્યુ ભાજપના સમર્થનવાળી વીપી સિંહની સરકારે પોતાના શાસનકાળમાં રાજીવ ગાંધીને વધારે સુરક્ષા આપી નહોતી.
વડાપ્રધાન મોદીએ હાલ પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી રાજકારણમાં આવ્યા તો હતા ક્લીન ઈમેજની સાથે પરંતુ ગયા ભ્રષ્ટ ઈમેજ સાથે. વડાપ્રધાન મોદીને આ નિવેદનના કારણે સમગ્ર દેશમાં આકરી ટીકાનો શિકાર થવુ પડી રહ્યુ છે.અહેમદ પટેલે ટ્વીટ કરીને કહ્યુ, શહીદ વડાપ્રધાનને ગાળો આપવી કાયરતાની નિશાની છે. તેમની હત્યા માટે કોણ જવાબદાર છે? ભાજપના સમર્થનવાળી વીપી સિંહ સરકારે તેમને તે સમયે વધારે સુરક્ષા આપી નહોતી. રાજીવજીએ માત્ર નફરતના કારણે પોતાનો જીવ ગુમાવ્યો. પટેલે એ પણ કહ્યુ કે હવે અમારી વચ્ચે તેઓ બેબુનિયાદ આરોપો અને અપશબ્દોનો જવાબ આપવા માટે નથી.