હરેકૃષ્ણ મંદિર,ભાડજ દ્રારા 5 દિવસીય વાર્ષિક પાટોત્સવ પર્વ ઉજવણીની શરૂઆત પ્રથમ દિવસે શાહીબાગ ખાતે ભગવાન શ્રી શ્રી રાધા માધવની ભવ્ય રથયાત્રા સાથે થઈ. મંદિરમાં ભગવાનશ્રીની પ્રાણપ્રતિષ્ઠા કર્યાની યાદગીરીરૂપે ચોથુ વર્ષ પૂરું થતા ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી શરૂઆત મહાનુભાવો જેવા કે શ્રી પ્રદિપ પરમાર (ધારાસભ્ય – અસારવા), પૂજનીય શ્રી જગનમોહન કૃષ્ણ દાસ ( અધ્યક્ષ – હરેકૃષ્ણ મુવમેન્ટ) , શ્રી કૈલાશજી ન્યાતી ( અધ્યક્ષ – મહેશ્વરી સેવા સમિતિ), શ્રી પૃથ્વિરાજ કાંકરિયા ( સી.એમ.ડી. – કાંકરીયા ટેક્સટાઈલ પ્રાઈવેટ લિમિટેડ)ની પાવન હાજરીમાં થઈ. રથયાત્રાનો પ્રારંભ વૈદિક પધ્ધતિની પરંપરાગત અનુસાર રથપૂજા સાથે કરવામાં આવી. આશરે 5000થી પણ વધુ ભકતોએ રથયાત્રામાં ભાગ લીધો હતો અને ઉમળકાભેર રથને ખેંચ્યો હતો. રથયાત્રાનો પ્રારંભ ગાયત્રી મંદિર,શાહીબાગ ખાતેથી થઈ દફનાળા, ગેહવર સર્કલ, રાજસ્થાન હોસ્પિટલ વિસ્તારમાંથી પસાર થઈ મહેશ્વરી સેવા સમિતિ મુકામે થોભાવી દેવામાં આવ્યો હતો. રથયાત્રાની સાથેસાથે ભવ્ય કિર્તનનું ગાન કરવામાં આવ્યુ અને રથયાત્રાના નિશ્ર્વિત માર્ગ દિરમ્યાન રથયાત્રામાં ભાગલેનાર આશરે 10,000 કરતા પણ વધુ લોકોને પ્રસાદની વહેંચણી કરવામાં આવી. રથને વિવિધ સ્થળો પર થોડી ક્ષણો માટે થોભાવતા લોકોને રથમાં બિરાજમાન શ્રી શ્રી રાધા માધવને ફળો, ફુલો, અને વિવિધ જાતના વ્યંજન, નમકીન અર્પણ કરવાની અમૂલ્ય તક મળી હતી.
વિવિધ કાર્યક્રમો જેવા કે સ્વર્ણરથ ઉત્સવ, નૌકાવિહાર, પાલકી ઉત્સવ, અને બીજા ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન આ ઉજવણી દરમ્યાન મંદિર ખાતે કરવામાં આવ્યું છે. હરેકૃષ્ણ મંદિર સૌ કોઈને તા. 3 મે થી 7 મે સુધી ઉજવવામાં આવનાર ઉત્સવમાં ભાગ લેવા માટે ભાવભર્યું આંમત્રણ પાઠવે છે.