Aapnu Gujarat
બ્લોગ

અનામત આંદોલનથી શરૂ થયેલી વાત થપ્પડ સુધી પહોંચી

લોકસેવા માટે સર્વસ્વ ન્યોછાવર કરીને રાજકારણમાં આવવું એ જૂના જમાનાની વાત થઈ. હવે તો વાત છે ગણતરીપૂર્વક અને આયોજનબદ્ધ રીતે રાજકીય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની. આજકાલ દેશમાં જે કેટલાક યુવા નેતાઓ રાજકારણમાં સક્રિય થયા છે અને આગળ વધી રહયા છે તેમાં ગુજરાતના હાર્દિક પટેલનું નામ લેવું પડે.ગુજરાતમાં વર્ષ ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું અને હાર્દિકને પાટીદાર સમાજનું જબરદસ્ત સમર્થન મળ્યું. રાજ્ય સરકાર હાફળીફાંફળી થઈ ગઈ. રાજય સરકાર માટે, એના પાટીદાર પ્રધાનો અને ભાજપમાં રહેલા પાટીદાર નેતાઓ માટે હાર્દિક માથાનો દુખાવો બની ગયો. તેને કેમ ઠારવો તેનો કોઈ રસ્તો ન હતો. ૨૫ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદારો સ્વંયભૂ ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યાં હતાં, પણ પછી થયેલા પોલીસ લાઠીચાર્જના કારણે અનામત આંદોલને વરવું સ્વરૂપ ધારણ કર્યું. તોફાનો થયાં. જાહેરસ્થળોની તોડફોડથી ૪૨ કરોડ રૂપિયાનું નુકશાન થયું. આંદોલનમાં ૧૪ પાટીદારોના મોત થયાં. તોફાનોમાં તોડફોડ, બસોને આગ ચાંપવાના બનાવો, બીઆરટીએસની રેલિંગ અને બસ સ્ટેન્ડ તોડવાના બનાવો બન્યા. હાર્દિક પટેલ સામે રાજદ્રોહ જેવા ગંભીર ગુના સહિતના કેસો પણ થયા.હાર્દિક પટેલ હવે હીરો બની ગયો હતો. ગુજરાત સહિત આખા દેશમાં છવાઈ ચૂક્યો હતો. એના આંદોલનના કારણે જ ગુજરાતના તે વખતના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને રાજીનામું આપવું પડ્યું હતું.પણ આ જ હાર્દિક પટેલ માટે પછી ઘણી બધી બાજીઓ ઊંધી પણ પડી.રાજકારણને જૂઠ્ઠાં લોકોનું ગણાવ્યા પછી અને હું રાજકારણમાં નહીં જોડાઉં એવું કહયા પછી તે જ હાર્દિક કોંગ્રેસમાં જોડાઇ ગયો. કોંગ્રેસના સ્ટારપ્રચારક તરીકે હવાઈ સફર કરીને ચૂંટણી પ્રચાર કરવા લાગ્યો. એના કારણે કેટલાક પાટીદારોના રોષ ભોગ પણ બન્યો. સમાજના જ લોકો તેની સામે પડયા.હમણાં આ જ હાર્દિક પટેલને સુરેન્દ્રનગર પાસેના બલદાણા ગામમાં એક જાહેરસભામાં તરૂણ ગજ્જરે નામની વ્યક્તિએ સ્ટેજ પર ચડીને જાહેરમાં તમાચો ચોડી દીધો.આપણે કોઈ આવી રીતે કાયદો હાથમાં લેવાનું સમર્થન કરતાં નથી, પણ તરૂણ ગજ્જરે જે નિવેદન આપ્યું છે એ પછી હાર્દિકના વલણને લઇને પણ સવાલો ઉભા થયા છે. શું હાર્દિક પટેલના રાજકારણમાં જોડાવાથી પાટીદાર સમાજ ખરેખર નારાજ છે? હાર્દિક પટેલના આવવાથી કોંગ્રેસને ચૂંટણીમાં કેટલો ફાયદો થશે તે તો સમય આવ્યે જ ખબર પડશે.પાટીદાર અનામત આંદોલન પછી હાર્દિક પટેલ પર અનેક કેસો થયા છે. જેમાં વિસનગર કોર્ટે ધારાસભ્યની ઓફિસના તોડફોડ કેસમાં હાર્દિકને સજા ફટકારી હતી અને ત્યાર પછી સજાના અમલ સામે સ્ટે પણ મેળવ્યો. બીજા અનેક કેસો કોર્ટમાં પેન્ડિંગ છે. પણ વાસ્તવિકતા એ છે કે ૧૪ નિર્દોષ પાટીદારના પરિવારજનોને સહાય મળે, સરકારી નોકરી મળે, પાટીદારો સામેના કેસ પાછા ખેંચાય તેવી રાજ્ય સરકાર સમક્ષ જે અનેક રજૂઆતો કરાઈ હતી એનો કોઇ ઉકેલ આવ્યો નથી. હા, રાજ્ય સરકારે અમુક કેસ જરૂર પાછા ખેંચ્યાં છે.બીજી તરફ, કેન્દ્ર સરકારે ૧૦ ટકા આર્થિક અનામતનો ખરડો સંસદમાં પસાર કરાવી દીધો છે. પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરીને આંદોલન કરવાનો આરોપ પાસના જ કેટલાક સભ્યોએ કર્યો હતો. કેટલાક સભ્યો હાર્દિક પટેલનો સાથ છોડીને પણ જતાં રહ્યાં.સતત ચર્ચામાં રહેવા માગતાં હાર્દિક પટેલને મીડિયાનો સાથ મળતો હતો. હાર્દિક પટેલના મામલે ભાજપ અને કોંગ્રેસ સામસામે રહ્યાં હતાં. સતત ચર્ચાતો મુદ્દો રહ્યો હતો. ટીવી ચેનલોની ડિબેટમાં પણ તે મુદ્દો બની રહ્યો હતો.અગાઉ હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન વખતે ભરસભામાં એલાન કર્યું હતું કે હું રાજકારણમાં જોડાવાનો નથી હું પાટીદારનો દીકરો છું હું સાચું જ બોલું છું રાજકારણ તો જુઠ્ઠા લોકોનું છે એવા વાકયો બોલનાર હાર્દિક અંતે કોંગ્રેસ પક્ષમાં જોડાયો. રાહુલ ગાંધીના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરીને પંજાનો હાથ પકડ્યો.જો કે કાનૂની જોગવાઇના કારણે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી લડી શકે એમ નહોતો એટલે હવે કોંગ્રેસ માટે પ્રચાર કરવાનું કામ એની પાસે છે. લોકસભાની ચૂંટણીની સ્ટાર પ્રચારકોની યાદીમાં હાર્દિક પટેલનું નામ મુક્યું, હેલિકોપ્ટર પણ ફાળવ્યું. જો કે સંસદમાં જવાની હાર્દિકની મનની મનમાં રહી ગઈ.થોડાક દિવસ પહેલાં હાર્દિક અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં ગયો ત્યારે ગાર્ડનમાં મોર્નિંગ વૉક કરવા આવનારા લોકોએ હાર્દિકનો ઉધડો લઈ લીધેલો એ વિડિયો સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. આ વિડીયો પ્રમાણે, ત્યાં હાજર લોકોએ હાર્દિકને મોંઢામોંઢ કહી દીધું હતું કે રાજકારણમાં આવવાનો નથી એવું કહીને કોંગ્રેસમાં ઘૂસી કે ગયા? અમે બધા વોટથી પતાવી દઈશું આવી વ્યક્તિ સાથે તો ઉભાં રહેતાં ય શરમ આવે.જાહેરસભામાં તમાચો મારવાના બનાવ પછી હાર્દિકે આરોપ મૂક્યો છે કે ભાજપ મને જાનથી મારી નાંખવા માગે છે. સામે તમાચો મારનાર તરુણ ગજ્જરે એક વાઇરલ થયેલા વિડીયોમાં ખુલાસો કર્યો છે એ પ્રમાણે, અનામત આંદોલન વખતે એની પત્ની પ્રેગનન્ટ હતી અને એને મુશ્કેલી પડી હતી. આ મુશ્કેલીના કારણે એ ગુસ્સે ભરાયો હતો.તરૂણ ગજ્જરે નિવેદન આપ્યું છે કે એ પોતે ભાજપ કે કોંગ્રેસ સાથે જોડાયેલો નથી. જો કે હાર્દિકના સાથીદારોએ આ ભાજપનું કાવતરૂં હોવાનો આરોપ મૂક્યો છે. હાલ તો હાર્દિક પટેલને પડેલા તમાચાની ગૂંજ હાલ તો ભાજપ અને કોંગ્રેસમાં ગૂંજી રહી છે અને સામસામા આક્ષેપો મૂકાઇ રહયા છે. રાજ્ય સરકારે હાર્દિકને સુરક્ષા આપવાની પણ જાહેરાત કરી છે.
હાલ તો હાર્દિક પટેલ જાહેરસભાઓમાં ખેડૂત અને રોજગારીના મુદ્દાઓ રજૂ કરીને ભાજપ સરકાર પર આકરાં પ્રહાર કરી રહયો છે. અનામત આંદોલનથી શરૂ થયેલી વાત થપ્પડ સુધી પહોંચી ચૂકી છે. મતદારો આ વાતને કઇ રીતે લે છે એની તો ૨૩ મે ના રોજ જ ખબર પડશે.કોંગ્રેસનાં નેતા હાર્દીક પટેલ શુક્રવારે ગુજરાતમાં સુરેન્દ્રનગર માં ચૂંટણીની સભા સંબોધીત કરતા હતા. તે દરમ્યાન એક વ્યકિત સ્ટેજ પર આવીને હાર્દીકને થપ્પડ મારી દીધો હતો. જ્યારે હાર્દીકનાં સમર્થકોએ આરોપીને ઝડપીને ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારે પોલિસે બીચ બચાવ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે થપ્પડ મારવાવાળી વ્યકિત મહેસાણાનો તરૂણ ગજ્જર છે. તેણે જણાવ્યું કે પાટીદાર આંદોલન વખતે મારી પત્નિ ગર્ભવતી હતી. ત્યારે તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તે દરમ્યાન મને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે મે નક્કી કર્યું હતું આ માણસને જરૂરથી મારીશ. અને આ માણસને કોઈપણ હિસાબે પાઠ ભણાવીશ.તરુણે કહ્યું – અમદાવાદમાં હાર્દિકની રેલી દરમિયાન હું મારા બાળક માટે દવાઓ લેવા ગયો હતો. આ સમય દરમ્યાન બધું બંધ હતું. ગમે ત્યારે તેઓ રસ્તાઓ બંધ કરે છે. જ્યારે તેઓને ગમે તે ગુજરાત બંધ કરવા માંગે છે. તે કોણ છે? તે ગુજરાતનો હિટલર છે? તરૂણે પાટીદાર આંદોલન દરમિયાન મૃત્યુ પામ્યા ૧૪ યુવકોની હત્યા માટે હાર્દિકને જવાબદાર ઠેરવ્યા હતા. કોંગ્રેસમાં જોડાવા માટે હાર્દિક વિરોધ સામે પણ તે ચીસો પાડતો હતો.પાટીદાર રિઝર્વેશન મૂવમેન્ટ કમિટીના ભૂતપૂર્વ નેતા હાર્દિકનું ગુજરાત ગૃહરાજ્ય છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના વઢવાણ તાલુકાના બલાદાણા ગામાં જન આક્રોશ રેલીને સંબોધન કરતા હતા. આ ઘટના પછી પણ હાર્દીકે તેનું સંબોધન ચાલુ રાખ્યું હતું. તેમણે પછી પત્રકારોને કહ્યું કે તેમેને ડરાવવા માટેનું બીજેપીનું ષડયંત્ર છે. જ્યારે હુમલાખોર સ્થાનિક નથી પણ બાહ્ય છે. ભાજપ મારા પર હુમલો કરી રહ્યો છે. તેઓ મને મારી નાખવા માંગે છે, પણ અમે ચૂપ રહીશું નહીં. હાર્દિકે પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવી છે.અગાઉ ગુરુવારે ભાજપના કાર્યાલયમાં પ્રવક્તા જીવીએલ નરસિંહ રાવ પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક વ્યક્તિએ જૂતુ ફેકીને માર્યું હતું. બીજેપીની ઑફિસમાં પહેલી વાર આ પ્રકારની બનાવ બની છે. ત્યારે એવું કહેવામાં આવ્યું છે કે જીવીએલ ભારવાલા ભાજપના ઉમેદવાર સાધવી પ્રજ્ઞાની પ્રેસ કોન્ફરન્સમાં ઉમેદવારીની વાત કરી રહ્યા હતા. ઘટના પછી જી.વી.એલ. પ્રેસ કોન્ફરન્સને રોકી ન હતી અને પત્રકારોને બેસી રહેવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું કે હુમલાખોરે કોંગ્રેસની માનસિકતા દર્શાવી છે. દરમિયાન, બીજેપીના જનરલ સેક્રેટરી ભૂપેન્દ્ર યાદવ પણ સ્ટેજ પર હાજર હતા. જૂતા ફેંકનારની ઓળખ કાનપુરના ડૉ. શક્તિ ભાર્ગવ તરીકે કરવામાં આવી હતી, જે પોતાની જાતને વ્હિસલ બ્લોવર તરીકે વર્ણવે છે.

Related posts

તા. ૬, એપ્રિલ વિશ્વમાં સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ

aapnugujarat

રજનીકાંતની લોકપ્રિયતા અનેે કાલા માટે દર્શકોની ઘેલછા

aapnugujarat

કોંગ્રેસનાં દામન પર માત્ર મુસ્લિમોના જ નહીં, પણ હિન્દુઓ, શીખોના લોહીના ધબ્બા પણ લાગેલા છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1