લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં મતદાનની તારીખ માથે આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં ધામા નાખ્યા છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આજે ગુરુવારે મહાન વૈજ્ઞાનિક સામ પિત્રોડા અમદાવાદની મુલાકાતે આવ્યા છે. તેમણે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયની મુલાકાત લીધી હતી. અહીં તેમણે મીડિયાને સંબોધી હતી. જેમાં તેમણે કોંગ્રેસે પોતાના કાળમાં શું શું કર્યું એનો હિસાબ આપ્યો હતો જ્યારે મોદી સરકારમાં મીડિયાની પણ આઝાદી છીનવાઇ હોવાની વાત કરી હતી. સાથે સાથે વાણી સ્વતંત્રતા અંગે પણ તેમણે પ્રહાર કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, અત્યારે તમારે કંઇક બોલવું હોય તો ૧૦ વખત વિચાર કરવો પડે છે.છેલ્લા ત્રણ અઠવાડિયાથી હું પ્રવાસ કરી રહ્યો છું અને મારું માનવું છે કે આ ચૂંટણી ખુબ જ મહત્વની છે. આ ચૂંટણી મોદી વર્સિસ ગાંધી કે ભાજપ વર્સિસ કોંગ્રેસ કે થર્ડ પાર્ટીનું નથી પરંતુ આ ચૂંટણી ભારતની આત્માનું છે. આ ચૂંટણી ભારતના આઇડિયાનું છે. હું જન્મો ત્યારે ગાંધી વિચારો કોર વેલ્યુમાં હતા. હું સ્કૂલમાં ભણ્યો તારે પણ ગાંધી વિચારના મુલ્યો આપણી જીવનમાં મહત્વના હતા. અત્યારે આ મૂલ્યોમાં પડકાર જોવા મળી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે તમે ટીવી ચાલુ કરો તો વડાપ્રધાન સિવાય કંઇ આવતું નથી. તમે કંઇ બોલો તો મીડિયા થકી એટલું કન્ફૂઝન ઉભું કરવામાં આવે છે કે અહીં ખુલ્લા વિચારે કોઈ કંઇ કોઇ બોલી શકતું નથી. તમારે કંઇ કહેવું હોય તો ૧૦ વખત વિચારવું પડે છે.વડાપ્રધાન કહે છે કે, કોંગ્રેસે છેલ્લા ૫૦ વર્ષમાં કંઇ કર્યું નથી પરંતુ હું વડાપ્રધાન અને દેશની જનતાને કહેવા માગું છું કે, જ્યારે ભારત દેશ આઝાદ થયો હતો ત્યારે ૭૦ ટકા દેશ ગરીબી હેઠળ હતો. અમે આટલા વર્ષમાં દેશમાં લોકશાહીને મજબૂત કરી છે. અને લોકોને ફ્રિડમ આપીને આગળ વધ્યા છીએ.