Aapnu Gujarat
બ્લોગ

યુગપુરુષ ડૉ. બાબાસાહેબ આંબેડકર

પરિચય
ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ૧૪ એપ્રિલ ૧૮૯૧નાં રોજ થયો હતો, તેઓ કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઈતિહાસકાર અને અર્થશાસ્ત્રી હતાં, તેઓ બાબાસાહેબનાં હુલામણા નામથી પણ જાણીતા છે, તેઓએ ભારતમાં બૌદ્ધ પુર્નજાગરણ આંદોલનની શરૂઆત કરી, તેઓ ભારતીય બંધારણના ઘડવૈયા અને પ્રથમ કાયદામંત્રી હતાં.
એક ગરીબ મહાર પરિવારમાં જન્મેલાં આંબેડકરે ભારતની વર્ણવ્યવસ્થાનાં નામે ઓળખાતી સામાજિક ભેદભાવની પરંપરા વિરુદ્ધ ઝુંબેશ ચલાવી, તેઓએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો અને લાખો દલિતોને થેરાવાદ બૌદ્ધ પરંપરામાં ધર્મ પરિવર્તન કરવા માટે પ્રેરીત કર્યાં. આંબેડકરને મરણોપરાંત ભારતનાં સર્વોચ્ય નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’થી ૧૯૯૦માં નવાજવામાં આવ્યા હતાં, તેઓ શરૂઆતનાં ગણ્યાગાંઠ્યા દલિત સ્નાતકોમાંના એક હતાં, તેમને તેમનાં કાયદાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને રાજનીતિશાસ્ત્રનાં સંશોધન માટે કોલંબિયા યુનિવર્સિટી અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ દ્વારા ડૉક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. આમ એક વિદ્વાન તરીકે નામના કાઢ્યા પછી તેઓએ થોડાં સમય માટે વકીલાત કરી હતી, ત્યારબાદ તેઓએ ભારતનાં દલિતોનાં રાજનૈતિક હકો માટે અને સામાજિક સ્વતંત્રતા માટે લડત આદરી હતી.
જન્મ અને બાળપણ
ભારત રત્ન ડૉ. ભીમરાવ રામજી આંબેડકરનો જન્મ ૧૪મી એપ્રિલ ૧૮૯૧માં મહુ, મધ્યપ્રદેશ (તે સમયનાં સેન્ટ્રલ પ્રોવિન્સ) મુકામે એક સામાન્ય અછૂત ગણાતાં મહાર કુટુંબમાં થયો હતો, તેમનાં પિતાનું નામ રામજી માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું. ભીમરાવ આંબેડકર એ રામજી સકપાલના ચૌદ સંતાનોમાંનું છેલ્લું સંતાન હતાં. ભીમરાવના પિતા મિલિટરીમાં સુબેદારના હોદ્દા પર હતાં. લશ્કરની શાળામાં તેઓ હેડ માસ્ટર હતાં. નાનપણથી જ બાળક ભીમરાવમાં માતા-પિતાનાં સંસ્કારો ઉતર્યાં, જ્યારે ભીમરાવ છ વર્ષની ઉંમરના થયા ત્યારે તેમની માતા ભીમાબાઈનું અવસાન થયું.
શિક્ષણ
ભીમરાવની પ્રાથમિક કેળવણીની શરૂઆત થઈ. ભીમરાવાનાં પિતાની અટક સકપાલ હતી, તેઓ મૂળ મહારાષ્ટ્રનાં રત્નાગીરી જિલ્લાનાં અંબાવાડે ગામનાં વતની હતાં, તેથી નિશાળમાં ભીમરાવની અટક આંબાવાડેકર રાખવામાં આવેલી પરંતુ નિશાળનાં એક શિક્ષક કે જે ભીમરાવને ખૂબ ચાહતા હતાં, તેમની અટક આંબેડકર કરી હતી તેથી તેમણે ભીમરાવની અટક નિશાળના રજીસ્ટરમાં સુધારીને આંબાવડેકરને બદલે આંબેડકર રાખી. શરૂઆતની પ્રાથમિક કેળવણી ભીમરાવે મુશ્કેલીઓ વચ્ચે પૂરી કરી. અસ્પૃશ્યતાનાં લીધે તેઓએ ઘણું જ સહન કરવું પડ્યું. ભીમરાવનાં પિતાને મુંબઈમાં રહેવાનું થયું એટલે ભીમરાવે હાઈસ્કૂલનું શિક્ષણ મુંબઈની એલ્ફીન્સ્ટન હાઈસ્કૂલમાં લીધું અને સન ૧૯૦૭માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી, મેટ્રીક પાસ તયા પછી ભીમરાવનાં લગ્ન ‘રામી’ નામની બાળા સાથે થયા, જેનું નામ ભીમરાવે પાછળથી ‘રમાબાઈ’ રાખ્યું. ભીમરાવનાં કોલેજ શિક્ષણ માટે વડોદરાનાં મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કૉલરશીપની વ્યવસ્થા કરી અને ભીમરાવ મુંબઈની પ્રખ્યાત એલ્ફીન્સ્ટન કોલેજમાં દાખલ થયાં.
ભીમરાવે ઈ.સ. ૧૯૧૨માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી સ્નાતક થયા પછી ભીમરાવ વધુ અભ્યાસ કરી શકે એવા એમના કુટુંબના સંજોગો રહ્યા ન હતાં. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવની નિમણૂંક રાજ્યનાં લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે કરી. વડોદરામાં યુવાન ભીમરાવને આભડછેટનાં લીધે ખૂબ જ હેરાન થવું પડ્યું. આ સમયે તા. ૨ ફેબ્રુઆરી ૧૯૧૩નાં રોજ ભીમરાવના પિતા રામજી સકપાલનું અવસાન થયું. ભીમરાવને નોકરીને તિલાંજલિ આપવી પડી. પિતાનાં મૃત્યુનાં કારણે મહત્વાકાંક્ષી ભીમરાવને ખૂબ જ દુઃખ થયું. આ સમયે વડોદરાનાં મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ કેટલાંક તેજસ્વી અછૂત વિદ્યાર્થીઓને પોતાનાં ખર્ચે ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા મોકલવા માંગતા હતાં. ભીમરાવની આ માટે પસંદગી થઈ. આમ સને ૧૯૧૩નાં જુલાઈ માસનાં ત્રીજા અઠવાડિયામાં ભારતનો એક અછૂત વિદ્યાર્થી વિદ્યાના ગહન શિખરો શર કરવા ન્યૂયોર્ક પહોંચી ગયો. અમેરિકાની પ્રખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાં ભીમરાવે ખંતપૂર્વક અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસનાં પરિપાકરૂપે ભીમરાવે ‘પ્રાચીન ભારતીય વ્યાપાર’ વિષય ઉપર મહાનિબંધ લખી ૧૯૧૫માં કોલંબિયા યુનિવર્સિટીની એમ.એ.ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી, ત્યારબાદ સતત અભ્યાસ ચાલુ રાખી ૧૯૧૬માં એમણે પી.એચ.ડી. માટે ‘બ્રિટીશ ભારતમાં મુલ્કી અર્થવ્યવસ્થાનો વિકાસ’ વિષય ઉપરનો મહાનિબંધ કોલંબિયા યુનિવર્સિટીને રજુ કરી દીધો અને સર્વોચ્ય એવી પી.એચ.ડી.ની ડિગ્રી મેળવવા ભાગ્યશાળી બનયાં. આમ, આંબેડકર હવે ડૉ. આંબેડકર બની ગયાં.
હજુ એમની જ્ઞાન માટેની ભૂખ સંતોષાયેલી નહોતી, સને ૧૯૧૬માં તેઓ અમેરિકાથી ઈંગ્લેન્ડ ગયાં અને લંડનમાં કાયદાનો અભ્યાસ શરૂ કર્યો સાથે સાથે એમણે અર્થશાસ્ત્રનો અભ્યાસ પણ ચાલુ જ રાખ્યો પરંતુ તં પ્રતિકૂળ સંજોગો અને આર્થિક તેમજ કૌટુંબિક મુશ્કેલીઓને કારણે વિદ્યાભ્યાસ છોડી તેમને ભારત પાછા ફરવું પડ્યું. ઈંગ્લેન્ડથી પાછા આવ્યા પછી તેઓ વડોદરા નોકરી માટે ગયાં. મહારાજા ગાયકવાડે આંબેડકરની નિમણૂંક વડોદરા રાજ્યનાં મિલિટરી સેક્રેટરી તરીકે કરી પરંતુ મુશ્કેલીઓ, આભડછેટ અને અપમાનોનાં લીધે તેઓ વડોદરામાં સ્થિર થઈ શક્યા નહીં, ફરીવાર વડોદરાને તેમણે છેલ્લી સલામ કરી વિદાય લીધી.
ડૉ. આંબેડકર હિંમત હારી જાય તેવા પોચા નહોતાં, તેમનાં પ્રયત્નોને સફળતા મળી. ૧૯૧૮માં મુંબઈની સિડનહામ કોલેજમાં તેઓ પ્રોફેસર તરીકે જોડાયા, આર્થિક ભીંસ ઓછી થવાથી અને થોડા પૈસા બચાવીને તેમજ કેટલીક રકમની મિત્રો પાસેથી વ્યવસ્થા કરીને ફરીવાર ડૉ. આંબેડકર ઈંગ્લેન્ડ ગયાં અને કાયદાનો તથા અર્થશાસ્ત્રનો અભ્યાસ ચાલુ રાખ્યો. ડૉ. આંબેડકરની ઈંગ્લેન્ડની સફર પહેલાં તેમનાં પત્ની રમાબાઈએ ૧૯૨૦માં એક બાળકને જન્મ આપ્યો જેનું નામ યશવંત રાખવામાં આવ્યું. બીજા બે સંતાનો થયા પરંતુ તે જીવી શક્યા નહીં, ૧૯૨૩માં ડૉ. આંબેડકર બેરિસ્ટર થયાં. આજ વખતે ડૉ. આંબેડકરને તેમના મહાનિબંધ ‘રૂપિયાનો પ્રશ્ન’એ વિષય ઉપર લંડન યુનિવર્સિટીએ ‘ડૉક્ટર ઓફ સાયન્સ’ની ઉચ્ચ ડિગ્રી એનાયત કરી.
લંડનમાં અભ્યાસ પૂર્ણ થવાથી ડૉ. આંબેડકર જર્મની ગયા અને ત્યાં પ્રખ્યાત ‘બોન યુનિવર્સિટીમાં વિદ્યાભ્યાસ શરૂ કર્યો પરંતુ જર્મનીમાં તેઓ લાંબો સમય રહી શક્યા નહીં તેમને ભારત પાછા ફરવું પડ્યું. જુન ૧૯૨૮માં ડૉ. આંબેડકર મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા, તેઓ કાયદાનાં અભ્યાસમાં નિપુણ હતાં, તેઓ વિદ્યાર્થીઓમાં ઘણાં જ પ્રિય થયાં. આ સમયે ‘સાયમન કમિશન’ને મદદરૂપ થવા બ્રિટીશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી. તા.૩ ઓગસ્ટ ૧૯૨૮માં સરકારે ડૉ. આંબેડકરને મુંબઈની કમિટીમાં નિમ્યાં. મુંબઈની ધારાસભામાં અને બહાર જાહેર સભાઓમાં ડૉ.આંબેડકરનો અવાજ ગાજવા લાગ્યો. તા. ૨૩ ઓક્ટોબર ૧૯૨૮માં ડૉ. આંબેડકર ‘સાયમન કમિશન’ સમક્ષ અછૂતોનાં પ્રાણ પ્રશ્નો અને તેનાં નિરાકરણ ઉપર રજૂઆત કરી આજ સમયે તેમણે એક એજ્યુકેસન સોસાયટીની સ્થાપના કરી મજુર ચળવળના પણ તેઓ પ્રણેતા બન્યાં અને એમના હક્કો તથા સગવડો બાબતમાં ઘણાં જ પ્રયત્નો કર્યાં. ડૉ. આંબેડકરનું નામ હવે દેશભરમાં જાણીતું થઈ ગયું હતું.
પ્રથમ ગોળમેજી પરિષદ
ભારતનાં ઈતિહાસમાં અન્ય અગત્યની સાલોની માફક ૧૯૩૦ની સાલ ઘણી જ અગત્યની છે. ૧૯૩૦માં સાયમન કમિશનનો રિપોર્ટ બહાર પડ્યો અને બ્રિટીશ સરકાર અને ભારતનાં રાજકીય નેતાઓ વચ્ચેની લડતની શરૂઆત થઈ. પ્રાંતીય સ્વાયત્તા પ્રતિ દેશ આગળ વધે એવા ચિન્હો જણાતાં હતાં. ધારાસભ્યોમાં બેઠકોની ફાળવણી બાબતમાં કોંગ્રેસ પક્ષ, મુસ્લિમ લીગ અને ડૉ. આંબેડકર વચ્ચે મતભેદ રહ્યા અને એકમતી સધાયી શકી નહીં.
આ મડાગાંઠનો તોડ લાવવા બ્રિટીશ સરકારે લંડનમાં બધાં જ પક્ષોનાં નેતાઓની એક ગોળમેજી પરિષદ બોલાવી. તા.૬ ડિસેમ્બર ૧૯૩૦માં ભારતનાં વાઈસરોય તરફથી ગોળમેજી પરિષદમાં હાજર રહેવા ડૉ. આંબેડકરને આમંત્રણ મળ્યું. આ પરિષદમાં ડૉ. આંબેડકરે ભારતનાં અછૂતોનાં પ્રશ્નોની વિશદ (ઉંડાણપૂર્વક) અને તલસ્પર્શી રજૂઆત કરી, તેમને ખાસ કરીને અછૂતોનાં રાજકીય અને સામાજિક હક્કો માટે બ્રિટીશ સરકાર પાસે બાંહેધરી માંગી. ડૉ. આંબેડકર ભારત પાછા ફર્યાં અને તેમનાં કાર્યમાં મશગુલ બની ગયાં.
ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત
તા.૧૪ ઓગસ્ટ ૧૯૩૧માં ડૉ. આંબેડકર અને ગાંધીજીની પ્રથમ મુલાકાત થઈ. તા.૭ સપ્ટેમ્બર ૧૯૩૧માં લંડનમાં બીજી ગોળમેજી પરિષદ મળી અને એમાં ડૉ. આંબેડકર અન્ય ભારતીય નેતાઓ સાથે હાજર રહ્યાં. ડૉ. આંબેડકરે અછૂતોનાં ઉદ્ધાર માટે અલગ મતાધિકાર અને અલગ અનામત બેઠકોની માંગણી કરી.
ડૉ. આંબેડકર અને ગાંધીજી વચ્ચે આ બાબતમાં દલીલો થઈ અને છેવટે ઉગ્ર મતભેદ થયા. ગાંધીજી મુસ્લિમો સાથે એકમત સાધવામાં નિષ્ફળ ગયા. ડૉ. આંબેડકર પણ તેમની માંગણીઓમાં મક્કમ રહ્યાં. બીજી ગોળમેજી પરિષદ ભાંગી પડી. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીનો વિરોધ કરવાથી અને તેમની અલગ મતાધિકારની માંગણીના લીધે ડૉ. આંબેડકરન ઘણાં જ અપ્રિય થયા. સમાચારપત્રોએ ડૉ. આંબેડકર ઉપર ટીકાઓની ઝડી વરસાવી અને કોંગ્રેસનાં નેતાઓએ તેમનાં કૃત્યને વખોડી કાઢ્યું. આમ છતાં ડૉ. આંબેડકર ભારતનાં અછૂતોનાં પ્રશ્નો સફળ અને સાચી રીતે રજુ કરવામાં શક્તિમાન થયા. લંડનથી પાછા આવ્યા પછી ડૉ. આંબેડકર દેશનાં જુદાં જુદાં ભાગોમાં જઈ શક્યા ત્યાં ગયા અને દલિતોની અસંખ્ય મિટીંગો અને પરિષદોનું આયોજન કરીને અને અછૂત સમાજને જાગૃત કર્યો.
લોકનેતા
તા.૧૪મી ઓગસ્ટ ૧૯૩૨માં બ્રિટીશ વડાપ્રધાને ‘કોમ્યુનલ એવોર્ડ’ની જાહેરાત કરી, એમાં ડૉ. આંબેડકરની માંગણીઓને ન્યાય આપવામાં આવ્યો હતો જે ડૉ. આંબેડકરની સફળતા હતી. આ એવોર્ડનાં વિરોધમાં ગાંધીજીએ તા.૨૦ સપ્ટેમ્બરે પૂના જેલમાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યાં. આખાય દેશનું ધ્યાન ડૉ. આંબેડકર ઉપર કેન્દ્રિત થયું. ગાંધીજીનું જીવન ભયમાં હતું. દેશનાં નેતાઓ વચ્ચે મંત્રણાઓ થઈ, ડૉ. આંબેડકરની ગાંધીજી સાથે મુલાકાત થઈ. ગાંધીજી હિંદુ નેતાઓ અને ડૉ. આંબેડકર છેવટે ૨૪ સપ્ટેમ્બર ૧૯૩૨માં ‘પૂના કરાર’ થયા અને સમાધાન થયું. ગાંધીજીએ ૨૬ સપ્ટેમ્બરે ઉપવાસના પારણા કર્યાં, ત્રીજી અને છેલ્લી ગોળમેજી પરિષદ તા.૧૭ નવેમ્બર ૧૯૩૨માં મળી. ડૉ. આંબેડકર હવે મુંબઈમાં રહેવા માટે અને ઘણાં પુસ્તકોની વિશાળ પ્રાઈવેટ લાઈબ્રેરી ઉભી કરવા ‘રાજગૃહ’ નામનું સુંદર મકાન બંધાવ્યું. ડૉ. આંબેડકર હવે લોકનેતા બની ગયા હતાં, તેઓ હંમેશા પ્રવૃત્તિમય રહેતા હતાં. દલિત સમાજનાં કાર્યોનાં કારણે તેઓ તેમની પત્ની તેમજ પુત્ર ઉપર ખાસ ધ્યાન રાખી શકતા નહીં. ૧ જુન ૧૯૩૫માં મુંબઈની સરકારે ડૉ. આંબેડકરની નિમણૂંક સરકારી લો કોલેજનાં પ્રિન્સીપાલ તરીકે કરી, અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવા છતાં ડૉ. આંબેડકર ધારાસભામાં ચૂંટાઈ આવ્યાં અને ત્યાં તેમને પ્રભુત્વ જમાવ્યું. ઓક્ટોબર ૧૯૩૯માં નહેરૂની ડૉ.આંબેડકર સાથે પ્રથમ મુલાકાત થઈ. ૧૯૪૦માં ડૉ. આંબેડકરનું પુસ્તક ‘પાકિસ્તાન ઉપર વિચારો’ પ્રકાશિત થયું. જુલાઈ ૧૯૪૧માં ડૉ. આંબેડકર ભારતનાં વાઈસરોયની એક્ઝીક્યુટીવ કાઉન્સિલમાં પ્રતિનિધિ નિમાયા. ડૉ. આંબેડકરે સ્વબળે અને સમાજનાં ટેકા સાથે ઉચ્ચ હોદ્દાઓ મેળવવા ચાલુ રાખ્યા. તા.૧૪મી એપ્રિલ ૧૯૪૨માં અખિલ ભારતીય ધોરણે દલિત સમાજે ડૉ. આંબેડકરની ૫૦મી વર્ષગાંઠની ઉજવણી કરી અને તેમને અભિનંદન અને આર્શીવાદ આપ્યા. તા.૨૦ જુલાઈ ૧૯૪૨માં ડૉ. આંબેડકરે ભારતનાં વાઈસરોયની કેબિનેટમાં લેબર મેમ્બર તરીકેનો ચાર્જ સંભાળી લીધો. સરકારનાં લેબર મેમ્બર તરીકે તેમણે ‘પીપલ્સ એજ્યુકેશન સોસાયટી’નાં નેજા હેઠળ મુંબઈમાં સિદ્ધાર્થ કોલેજની શરૂઆત કરી. આમ ડૉ. આંબેડકરે જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં તેમનો નમ્ર ફાળો આપવા કોશિષ કરી. વળી, ડૉ. આંબેડકરે ‘શુદ્રો કોણ હતાં ?’ નામનું પુસ્તક લખ્યું અને તે પ્રકાશિત કરાવ્યું.
બૌદ્ધ ધર્મ અંગીકાર
ડૉ. આંબેડકરે વિશ્વનાં મહાન ધર્મોનો ઉંડો અભ્યાસ કર્યો હતો ત્યારબાદ તેમને બુદ્ધ અને તેમનો ધર્મ પુસ્તક લખી પ્રસિદ્ધ કર્યું, તેઓની ભૂતકાળની પ્રતિજ્ઞા ‘હું હિંદુ ધર્મમાં જન્મ્યો એ મારા હાથની વાત નહોતી પણ હું હિંદુ ધર્મમાં રહીને મરીશ નહીં તે પ્રમાણે તા.૧૪ ઓક્ટોબર ૧૯૫૬માં ડૉ. આંબડેકર નાગપુર દિક્ષાભૂમિમાં ૩,૮૦,૦૦૦ દલિતો સાથે બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો. દુનિયાનાં ઈતિહાસમાં આવા ધર્મ પરિવર્તનો ખૂબ જ ઓછાં જોવા મળે છે.
બંધારણના ઘડવૈયા
૧૯૪૬માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણસભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડૉ. આંબેડકર ભારતની બંધારણસભામાં ચૂંટાયા. તા. ૯ ડિસેમ્બર ૧૯૪૬માં પ્રથમવાર બંધારણસભા દિલ્હીમાં મળી. ડૉ. આંબેડકરે ભારતનાં બંધારણનાં માળખા તેમજ લઘુમતી કોમના હક્કો વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યાં. તા.૨૯ એપ્રિલ ૧૯૪૭માં બંધારણ સભાએ અસ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતભરમાંથી નાબુદ થયેલી જાહેર કરી.
હિંદુ-મુસ્લિમ એક્તા સાધી શકાઈ નહીં છેવટે ભારતનાં ભાગલા નિશ્ચિત બન્યાં. ભારત – પાકિસ્તાન અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યાં. તા. ૩ ઓગસ્ટ ૧૯૪૭માં ભારતની વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડૉ. આંબેડકર ભારતનાં પ્રથમ કાયદા પ્રધાન બન્યાં. તા. ૨૯ ઓગસ્ટે ડૉ. આંબેડકરની ભારતનાં બંધારણી ડ્રાફ્ટીંગ કમિટીનાં પ્રમુખતરીકે વરણી થઈ. એક અછૂત કહેવાતા વ્યક્તિની દેશનું બંધારણ ઘડવા માટે પસંદગી થાય એ ખરેખર એ સમયમાં ખૂબ જ અગત્યની વાત હતી. અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડૉ. આંબેડકરે ફેબ્રુઆરી ૧૯૪૮નાં છેલ્લાં અઠવાડિયામાં ભારતનાં બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણ સભાનાં પ્રમુખ ડૉ. રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કરી. ડૉ. આંબેડકરે તા.૧૫ એપ્રિલ ૧૯૪૮માં ડૉ. શારદા કબીર સાથે લગ્ન કર્યાં. પત્ની ડૉક્ટર હોવાથી તેમની બગડેલી તબિયતમાં ઘણો સુધારો આવ્યો અને તેમનું કાર્ય ફરીથી ચાલુ કર્યું. ભારતનાં બંધારણનાં કાચા મુસદાને દેશનાં લોકોની જન માટે અને તેઓનાં પ્રત્યાઘાતો જાણવા માટે છ માસ સુધી જાહેરમાં મૂકવામાં આવ્યો.તા. ૪ નવેમ્બર ૧૯૪૮માં ડૉ. આંબેડકરે ભારતનાં બંધારણને બંધારણ સભાની બહાલી માટે રજૂ કર્યું. મુખ્યત્વે ડૉ. આંબેડકર રચિત બંધારણમાં ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટ હતાં. તા. ૨૬ નવેમ્બર ૧૯૪૯માં ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું. આ વખતે બંધારણના પ્રતિનિધિઓ તેમજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ડૉ. આંબેડકરની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યાં. તા. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસત્તાક બન્યો. ૧૯૫૨માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં ડૉ. આંબેડકર મુંબઈમાંથી પાર્લામેન્ટ બેઠક માટે ઉભા રહ્યાં પરંતુ શ્રી કાજરોલકર સામે તેમની હાર થઈ. માર્ચ ૧૯૫૨માં ડૉ. આંબેડકર મુંબઈની ધારાસભાની બેઠક ઉપર રાજ્યસભાનાં સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં અને રાજ્યસભાનાં સભ્ય બન્યાં. તા. ૧ જૂન ૧૯૫૨માં તેઓ ન્યૂયોર્ક ગયા અને તા. ૫ જૂન ૧૯૫૨માં કોલંબિયા યુનિવર્સિટીએ એમને સર્વોચ્ય એવી ‘ડૉક્ટર એટ લો’ની પદવી આપી. તા. ૧૨ જાન્યુઆરી ૧૯૫૩માં ભારતની ઓસ્માનિયા યુનિવર્સિટીએ ડૉ. આંબેડકરને ‘ડૉક્ટર ઓફ લીટરેચર’ની ઉચ્ચ પદવી આપી, તેઓની ખરાબ તબિયતનાં કારણે બહુ લાંબી જીવી શક્યા નહીં. તા. ૬ ડિસેમ્બર ૧૯૫૬ની વહેલી સવારે તેઓનું દિલ્હીમાં મહાપરીનીરવાણ થયું.

Related posts

MORNING TWEET

aapnugujarat

૨૧મી સદીમાં પણ ભારતમાં પુત્રને જ મહત્વ : સર્વે

aapnugujarat

યુવાનોમાં વધ્યો છે જોખમી ‘કિકી ચેલેન્જ’નો ક્રેઝ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1