કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી લોકસભાના ચૂંટણી પ્રચાર માટે ૧૮મી એપ્રિલે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. તેઓ અંબાજી મંદિરે દર્શન કરી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. પ્રિયંકા ગાંધી જનસભા સંબોધશે કે પછી રોડ શો કરશે તે હજુ નક્કી થયું નથી. જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ૧૫મી એપ્રિલે રાજુલામાં તો ૧૯મી એપ્રિલે પણ બારડોલી, દાહોદ અને સિધ્ધપુરમાં જાહેરસભા ગજવશે.
કોંગ્રેસના સૂત્રો કહે છે કે, અમદાવાદની મુલાકાત બાદ પ્રિયંકા ગાંધી હવે ઉત્તર ગુજરાતમાં પ્રચાર કરશે. ૧૮મીએ અંબાજી મંદિરે દર્શન કરી પ્રિયંકા કોંગ્રેસ માટે પ્રચાર કરશે. પ્રિયંકાનો ડિટેઈલ કાર્યક્રમ હજુ ફાઈનલ થયો નથી. મહત્ત્વનું છે કે, પ્રિયંકાના દાદી ઈન્દિરા ગાંધી પણ અંબાજી મંદિરે આવ્યાં હતાં. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો વધુ એક નવો ગુજરાત કાર્યક્રમ નક્કી થયો છે, જેમાં તેઓ ૧૯મી એપ્રિલે બારડોલી, દાહોદ અને સિદ્ધપુરમાં જાહેરસભાઓ ગજવશે. રાહુલ ગાંધી એક જ દિવસમાં ત્રણ જાહેર સભાઓ ગજવશે. ત્રણેય સભા માટે ચોક્કસ સ્થળ માટે કોંગ્રેસે કામ શરૃ કરી દીધું છે. જ્યારે ૧૫મી એપ્રિલે રાજુલા નજીક જાહેરસભા પણ યોજાવાની છે. આ સભા અમરેલી, ભાવનગર અને જૂનાગઢ એમ ત્રણ બેઠકો ઉપર અસર કરે તેમ છે. રાહુલ ગાંધી ગુજરાતમાં કુલ ચાર જાહેરસભાઓ ગજવશે. પ્રદેશ કોંગ્રેસે હાઈકમાન્ડને આમંત્રણ મોકલાવ્યું ત્યારે વધુમાં વધુ પાંચ જાહેરસભાઓ યોજાય તે માટે અનુરોધ કર્યો હતો. આખરે રાહુલ લોકસભાના ચૂંટણી પ્રચાર માટે કુલ ચાર સભા ગજવશે.કોંગ્રેસના અન્ય સ્ટાર પ્રચારકોમાં ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર, નગ્મા, ફિલ્મ અભિનેતા અને ભાજપ છોડી કોંગ્રેસમાં આવેલા શત્રુધ્નસિંહા, ક્રિકેટર નવજોતસિંઘ સિદ્ધુ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત અન્ય બે રાજ્યોના મુખ્યમંત્રી પણ ગુજરાતના સ્ટાર પ્રચારક હોવાથી સભાઓ ગજવે તેવી શક્યતા છે. કોંગ્રેસના ઉમેદવારોની ડિમાન્ડ મુજબ હાલ સ્ટાર પ્રચારકો માટેનું શિડયૂલ તૈયાર થઈ રહ્યું છે.