લોકસભાની સામાન્ય ચૂંટણી માટે ગુજરાતમાં સત્તાધારી ભાજપમાં શરૂ થયેલા સળવળાટમાં વાઘોડિયાના ધારસભ્ય મધુ શ્રીવાસ્તવે વડોદરા બેઠક માટે દાવેદારી નોધાવી રાજકીય વિવાદ સર્જ્યો છે. ગુજરાતમાં વડોદરા બેઠક પરથી ચૂંટણી લડીને વિક્રમજનક મતથી વિજયી થયેલા નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બનતા જ આ બેઠક ખાલી કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે વડોદરા બેઠક પરથી ચૂંટણી ના લડે તેવી સંભાવનાઓ વચ્ચે દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપના ઉમેદવાર બનવાની ઈચ્છા વ્યકત કરી છે.લોકસભાની સામાન્ય ચૂંટણી માટે સત્તાધારી ભાજપ દ્ધારા ગુજરાતમાં તૈયારીઓ આરંભાઈ ગઈ છે. જેમાં લોકસભા માટે નવા પ્રદેશ પ્રભારીની નિમણુક સાથે તમામ ૨૬ બેઠકો માટે પણ પ્રભારી નીમી દેવામાં આવ્યા છે. જેમાં કેટલાક જિલ્લાઓમાં તો લોકસભાની બેઠક માટે રણનીતિ ઘડી કાઢવા સહપ્રભારી અને સંગઠનના હોદેદારો સાથે બેઠકો પણ યોજવાની શરૂઆત કરવામાં આવી છે.
આ વખતે ભાજપ માટે ૨૬ બેઠક જીતવાનો લક્ષ્યાંક સફળ બનાવવાનો મોટો પડકાર છે. ત્યારે જુના ૨૬ એમપી પૈકી ૮-૧૦ જેટલા સાંસદોનું પત્તું કપાઈ જાય તેમ છે. જ્યારે જીતી શકે તેવા અનેક નવા ચહેરાને તક મળશે.ભાજપ માટેના પડકારજનક રાજકીય માહોલમાં પણ ઉમેદવારોનો રાફડો છે. જેમાં વડોદરા જિલ્લાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વડોદરામાંથી લોકસભાની ચૂંટણી લડવા માટે દાવેદારી કરી છે. વડોદારમાં અત્યારે રંજન ભટ્ટ સંસદસભ્ય છે. ત્યારે મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, તે કોર્પોરેટરથી આગળ વધતા વધતા ધારાસભ્ય પણ ત્રણ ટર્મ રહી ચૂકયા છે. ત્યારે હવે સંસદમાં જવાની ઈચ્છા છે. તેમણે નરેન્દ્ર મોદી જેટલી સરસાઈથી જીતવા અંગે કહ્યું કે, સરસાઈ માટે અત્યારે કશું જ કહી શકાય નહીં, પરંતુ જંગી બહુમતીથી હું જીતીશ એ નક્કી છે. થોડા સમય અગાઉ મધુ શ્રીવાસ્તવ અને અન્ય બે ધારાસભ્યો દ્ધારા અધિકારીઓ કામ કરતા નહીં હોવાનો આક્રોશ વ્યકત કરી સીએમને રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત મંત્રી પદ નહીં મળતા તેમણે નારાજગી પણ વ્યક્ત કરી હતી. વાઘોડિયાના આ દબંગ ધારાસભ્યે આ વખતે મત વિસ્તાર બદલાવવા સામે કોંગ્રેસ સાથે લડત હોવા છતાં શાનદાર વિજય મેળવ્યો હતો.