કેશોદના મંગલપુર ગામના દલિત યુવાનને ગામના સરપંચ દ્વારા જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી ગાળો આપીને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા સરપંચ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. સ્મશાનની દીવાલ ચણવા ન દેવાતા ઝઘડો થયો હોવાની આશંકા છે.
દલિત યુવાન ભૂપતભાઈ કાનાભાઈ રાઠોડ (૪૦) ને ગામના સરપંચ દ્વારા હડધૂત કરી ગાળો અપાઈ હતી. તેમજ માર માર્યો હોવાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસ ફરિયાદમાં ભૂપતભાઈએ ઉલ્લેખ કર્યો છે કે, તે પોતે સ્ટેશનની બાજુમાં આવેલી કેબિન પર ચા પીતો હતો. દરમિયાન ત્યાં ઊભેલા સરપંચે સ્મશાનની દીવાલ કેમ ચણતો નથી એવું કહીને ભૂપતભાઈને ગાળો બોલી હતી. એટલું જ નહીં, તેને હડધૂત કરી ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. જો કે પિતરાઈએ ભૂપતભાઈને છોડાવ્યો હતો. તેને કમર, માથા અને આંખના ભાગે દુખાવો ઉપડતા કેશોદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો.