અમદાવાદ શહેરના પશ્ચિમઝોનમાં નવરંગપુરા બસસ્ટોપની પાછળના ભાગમાં રૂપિયા ૫૨ કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવેલા તેમજ ૧ લી મેના રોજ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જેનુ ઉતાવળે લોકાર્પણ કરાવી દેવામાં આવ્યું હતુ.તેવા નવરંગપુરાના મલ્ટી સ્ટોરેઈડ પાર્કિંગમાં છેલ્લા ૧૮ દિવસમાં એક પણ વાહન પાર્ક કરી શકાયુ નથી.જયાં સુધી ૩૬ દુકાનોની હરાજીની કાર્યવાહી પુરી નહીં થાય.ત્યાં સુધી આ પાર્કિંગનો ઉપયોગ શરૂ થઈ શકશે નહીં.આ અંગે મળતી માહિતી અનુસાર,શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા એએમટીએસના બસસ્ટોપની પાછળના ભાગમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના આવેલા પ્લોટમાં રૂપિયા ૫૨ કરોડના ખર્ચથી તંત્ર દ્વારા મલ્ટીસ્ટોરેઈડ પાર્કિંગ તૈયાર કરાવવામાં આવ્યું છે.આ પાર્કિંગનું ૧ લી મેને રાજ્યના સ્થાપના દિવસે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે,મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યા બાદ પણ છેલ્લા ૧૮ દિવસથી એક પણ ટુ વ્હીલર કે એક પણ ફોર વ્હીલર આ પાર્કિંગમાં પાર્ક કરવામાં આવ્યું નથી.આ પાર્કિંગમાં નીચેના ભાગમાં ૩૬ જેટલી દુકાનો તંત્ર દ્વારા તૈયાર કરાવવામાં આવી છે.તો આ સાથે જ પહેલા અને બીજા માળ ઉપર મળીને ૪૦૦ જેટલી કાર અને ૭૫૦ જેટલા ટુવ્હીલરને પાર્ક કરવાની ક્ષમતા રાખવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના કહેવા પ્રમાણે હજુ આ પાર્કિંગ શરૂ થવામાં સમય લાગશે.ઉતાવળે મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરાવી દેવામાં આવ્યા બાદ હવે શું બાકી રહ્યું છે.તે અંગે તપાસ કરતા જાણવા મળ્યું છે કે,હજુ સુધી આ પાર્કિંગ માટેના ટેન્ડર ખોલવામાં આવ્યા નથી.