અમદાવાદ શહેરમાં ટીબીના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દર વર્ષે દર્દીઓની સંખ્યામાં ૧૦થી ૧૫ ટકાનો વધારો નોંધાયો છે. હવે પછી ખાનગી સારવાર લેતા ટીબીના દર્દીઓની માહિતી ડોક્ટરે ફરજિયાત સરકારના આરોગ્યતંત્રને આપવી પડશે.
જો તેમાં ચૂક રહી જશે તો જે તે ડોક્ટર સામે એમસીઆઈ એક્ટ મુજબ ફરિયાદ નોંધાશે એટલું જ નહીં, મેડિકલ સ્ટોરના માલિકોએ પણ ટીબીની દવા લેવા આવનાર પેશન્ટનું નામ-સરનામું વગેરે વિગતો લઈને આરોગ્ય વિભાગને જાણ કરવી પડશે. જો મેડિકલ સ્ટોરના સંચાલક, ટીબી દર્દી અંગેની જાણ નહીં કરે તો તેમની સામે પણ ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયાના નોટિફિકેશન મુજબ કાર્યવાહી કરાશે.
શહેરમાં ગત વર્ષે ૧૦ હજાર ટીબીના દર્દીઓ નોંધાયા હતા. આ વર્ષે પણ આ સંખ્યા હાલમાં વધીને ૧૦,૩૬૯ થઈ છે, જે વર્ષના અંતે વધીને ૧૦,૫૦૦થી વધુ થવાની શક્યતા છે. ખાનગી તબીબો પાસે બારોબાર સારવાર કરાવનારા દર્દીઓના કેસની વિગતો ડોક્ટરોની બેદરકારીના કારણે સામે આવતી નથી.
એકમાત્ર અમદાવાદમાં જ વર્ષે ૩૦૦ જેટલા ટીબીના દર્દીઓનાં મોત થાય છે. વર્ષ ૨૦૦૮માં ટીબીના દર્દીઓની સંખ્યા અમદાવાદમાં ૮,૨૪૪ અને મૃત્યુ સંખ્યા ૩૧૯ હતી, જે ગત વર્ષે ૯,૨૫૦ અને મૃત્યુઆંક ૩૪૫ નોંધાયો છે. આ આંકડામાં ખાનગી હોસ્પિટલો કે ડોક્ટરો પાસે સારવાર લેનારા દર્દીનો સમાવેશ થતો નથી, જેથી આ આંક ઘણો ઊંચો હોઈ શકે છે.
આગળની પોસ્ટ