અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓની બેદરકારીનું વધુ એક ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. સામાન્ય રીતે રોગચાળા પર અંકુશ માટે અમ્યુકો તંત્ર દ્વારા મે મહિનાના પ્રારંભથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જંતુનાશક દવાના છંટકાવની કામગીરી હાથ ધરાય છે, પરંતુ આ વખતે હવે અમ્યુકો સત્તાવાળાઓએ આ માટે રૂ. ૨.૨૮ કરોડના ખર્ચની દરખાસ્ત તૈયાર કરીને આગામી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી માટે મૂકી છે. આ દરખાસ્ત મુજબ મધ્યમ ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને પૂર્વ ઝોનમાં એક જ કંપની એવીટ્સ ઈન્ડિયા પેસ્ટ મેનેજમેન્ટને કોન્ટ્રાક્ટ અપાનારો હોઈ વિવાદ ઉઠ્યો છે, જ્યારે એચપીસી કોર્પોરેશનને પશ્ચિમ ઝોન અને નવા પશ્ચિમ ઝોનની કામગીરી સોંપાઈ છે. જોકે શહેરમાં જંતુનાશક દવાનો છંટકાવ તેના નિર્ધારિત સમયથી બે મહિના જેટલા વિલંબથી થવાની હોઈ તંત્રની કામગીરી વિવાદાસ્પદ બની છે. દરમ્યાન જમાલપુરની રિયાઝ હોટલ પાસે ગત તા. ૧૨ જૂનની વહેલી સવારે ચાર વાગ્યે ગટરલાઈનની સફાઈ માટે ગટરની અંદર ઊતરેલા સફાઈ કામદાર હસમુખ ચાવરિયાનું ગૂંગળાઈ જવાથી મૃત્યુ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોથા વર્ગના કર્મચારીઓમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ ફેલાઈ ગયો હતો. મૃતક સફાઈ કામદારના પરિવારજનોએ તેના પરિવારનું ભરણપોષણ થાય તે માટે સત્તાવાળાઓ સમક્ષ રૂ. ૧૦ લાખની આર્થિક સહાય અને સફાઈ કામદારાના સંતાનને નોકરીની માગણી કરી હતી. જે પૈકી સત્તાવાળાઓ દ્વારા રૂ. ૧૦ લાખની આર્થિક સહાય મૃતકની પત્નીને ચૂકવાઈ છે. આ મામલે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં તંત્ર દ્વારા દર્પણ એજન્સીના જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માનવ વધનો ગુનો નોંધતા હાલમાં વધુ તપાસ હાથ ધરાઈ છે. બીજી તરફ મધ્ય ઝોનના ઈજનેર વિભાગના વડા દ્વારા ગ્યાસપુર વોર્ડના ત્રણ ઈજનેરને શો કોઝ નોટિસ ફટકારાઈ હતી. આ શો કોઝ નોટિસનો જે તે ઈજનેર દ્વારા ઉત્તર પાઠવવામાં આવતાં તે સંતોષકારક હોવાનો તંત્રનો દાવો કર્યો છે. પરંતુ બે મહિનાના વિલંબ બાદ જંતુનાશક દવાના છંટકાવની કામગીરીને લઇ તંત્રની શાસન પધ્ધતિ ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે.
આગળની પોસ્ટ