પંચમહાલના ઘોઘંબા તાલુકાના સ્થાનિક ખેડૂતોને સિંચાઈનું છેલ્લું પાણી ન મળવાને કારણે પાક સુકાવવા લાગ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. ઘોઘંબા તાલુકામાં સિંચાઈ માટે બે ડેમ છે. છતાં હાલમાં ખેડૂતોને પાણી મળતું નથી. જેના પરિણામે આજે ઘોઘંબા અને કાલોલ તાલુકાના અસંખ્ય ખેડૂતોનો ઉભો પાક બળીને ખાખ થઇ ગયો છે.કેવું દુઃખ થાય જ્યારે ખેતરમાં નજર સામે ઉભો પાક પાણીના અભાવે ખતમ થતો દેખાય.
છેલ્લા પાણીની પિયતની જરૂર હતી. પરંતુ પાણી ન મળતા પંચમહાલ જિલ્લાના ઘણા ગામના ખેડૂતો હાલમાં તકલીફોમાં મૂકાઇ ગયા છે. ઘોઘંબા તાલુકાના ઝીંઝરી, ધનેશ્વર અને દુધાપુરા જેવા ગામો તેમજ કાલોલ તાલુકાના પણ અલવા, મલાવ સહીતના ઘણા ગામોમાં ખેડૂતો હાલમાં પાણીની માંગ કરી રહ્યા છે. કારણકે તેમના ખેતરમાં છેલ્લી પિયતનું પાણી ન મળતા ખેતીનો પાક નજર સામે ખતમ થઇ રહ્યો છે.
ખેડૂતોનો આક્ષેપ છે કે માછીમારોનું હિત સાચવવા માટે તેઓને પાણી નથી અપાઇ રહ્યુ.સિંચાઈ વિભાગ શિયાળુ પાક માટે કરાડ ડેમ અને ઝીંઝરી તળાવનું પાણી આપે છે. હાલમાં કરાડ ડેમમાં અંદાજિત ૨૨ ટકા જેટલો પાણીનો જથ્થો છે અને ઝીંઝરી તળાવમાં પણ ચોમાસાનું પાણી એકત્રિત થયેલું છે આ બંને જળાશયોમાં આવનાર ઉનાળા માટેની તંગીને પહોંચી વળવા પાણી સંગ્રહિત કરી રાખવામાં આવેલ છે. જેથી હાલમાં ઘોઘંબા તાલુકાના ખેડૂતો સિંચાઈના પાણી માટે રાહ જોઈ રહ્યા છે. જો કે આ અંગે સિંચાઈ વિભાગના અધિકારીઓ આ અંગે ખેડૂતોની રજૂઆતોને ઉચ્ચ કક્ષાએ પહોંચાડવાની વાત કરી રહ્યા છે.પંચમહાલ જિલ્લામાં ખેડૂતોની હાલત હાલમાં દયનીય બની ગઇ છે ત્યારે ઘોઘંબા અને કાલોલ તાલુકાના હજારો ખેડૂતો માટે સિંચાઈ વિભાગ ડેમમાંથી પાણી છોડશે કે કેમ ? તેના પર ખેડૂતોની સ્થિતી નિર્ભર થઇ છે. જો નહીં છોડવામાં આવે તો ખેડૂતોને જે પાક બચ્યો છે તે પણ ખતમ થઇ જશે તેવી સ્થિતી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ