આરએસએસના સરકાર્યવાહક ભૈયાજી જોશીએ રામ મંદિરને લઇને આજે મહત્વપૂર્ણ નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, વિવાદાસ્પદ સ્થળ પર જ મંદિર નિર્માણ કરવામાં આવશે. વિવાદાસ્પદ જમીન પર અન્ય કોઇ નિર્માણ થશે નહીં. સતત ચોથી વખત સંઘના સરકાર્યવાહક ચુંટાઈ આવ્યા બાદ જોશીએ નાગપુરમાં રામ મંદિરના મુદ્દા ઉપર મહત્વપૂર્ણ નિવેદન કરીને નવી ચર્ચા જગાવી છે. જોશીએ નાગપુરમાં અખિલ ભારતીય પ્રતિનિધિસભાની બેઠકના ભાગરુપે આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, રામ મંદિરનું નિર્માણ નિશ્ચિત છે. ત્યાં અનય્ કોઇ નિર્માણ કરવામાં આવનાર નથી પરંતુ તમામ પ્રક્રિયાને યોગ્યરીતે આગળ વધારવી પડશે. જોશીએ ઉમેર્યું હતું કે, કોર્ટના નિર્ણય બાદ મંદિરનું નિર્માણ શરૂ થશે. અયોધ્યા વિવાદને લઇને કોર્ટની બહાર થઇ રહેલા સમાધાનના પ્રયાસોને લઇને ભૈયાજી જોશીએ કહ્યું હતું કે, રામ મંદિરના મુદ્દા ઉપર સર્વસંમતિ સધાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, હાલમાં જે પ્રયાસો થઇ રહ્યા છે. તે ચોક્કસપણે સ્વાગતરુપ છે. ગઇકાલે ભૈયાજી જોશીને નાગપુરની બેઠકમાં ચોથી વખત સર્વસંમતિથી સરકાર્યવાહક તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા હતા. બેઠકથી પહેલા એવી ચર્ચા હતી કે જોશીના સ્થાને સંઘના સહસરકાર્યવાહક દત્તાત્રેય હોશબાલેને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે પરંતુ ભૈયાજી જોશીને આ જવાબદારી સોંપવામાં આવતા સંઘના કાર્યકરોમાં પણ આશ્ચર્યનું મોજુ ફરી વળ્યું હતું. તમામ અટકળો ઉપર એ વખતે બ્રેક મુકાઈ ગઈ હતી જ્યારે ભૈયાજી જોશીના નામની જાહેરાત કરવામાં આવી હતી. ફરી એકવાર તેમને આ મોટી જવાબદારી સોંપાઈ છે.