ઉત્તરપ્રદેશના પોલીસ મહાનિર્દેશક ઓમપ્રકાશ સિંહે કહ્યું છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અવધિના પ્રથમ ૧૦ મહિનામાં ઉત્તર પ્રદેશ પોલીસના પગલાના ભયથી ૫૫૦૦ અપરાધિઓએ પોતાના જામીન રદ કરાવી દીધા છે. અપરાધ સમીક્ષા બેઠકની આગેવાની કરવા આગરા પહોંચેલા ડીજીપીએ કહ્યું હતું કે, અપરાધીઓની સામે ઉત્તર પ્રદેશ પોલીસની કાર્યવાહીને સફળ બનાવવા એસટીએફ દ્વારા નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરવામાં આવ્યા છે. માર્ચ ૨૦૧૭થી જાન્યુઆરી ૨૦૧૮ વચ્ચે ૧૦ મહિનાના ગાળામાં ઉત્તરપ્રદેશ પોલીસે ૧૩૩૧ એન્કાઉન્ટર કર્યા છે જેમાં ૩૦૯૧ અપરાધીને પકડી પાડવામાં આવ્યા છે. ૪૩ને ઠાર કરી દેવાયા છે. આમાથી ૫૦ ટકાથી ઉપર ઇનામની જાહેરાત હતી. આમાથી એવા કેટલાક અપરાધી હતા જે લાંબા સમયથી ફરાર હતા. હવે અપરાધીઓમાં દહેશત ફેલાયેલી છે. આ વર્ષે હોળીના ગાળા દરમિયાન બે પક્ષો વચ્ચે સંઘર્ષના ૧૪ મામલા સપાટી ઉપર આવ્યા હતા જેમાં કેટલાક સાંપ્રદાયિક મામલા સામેલ છે. વર્ષ ૨૦૧૩થી દર વર્ષે સરેરાશ આ પ્રકારના ૬૦ કેસો નોંધાતા રહ્યા છે પરંતુ આ વર્ષે માત્ર ૧૪ કેસો સપાટી ઉપર આવ્યા છે. પોલીસની સતર્કતાના લીધે હોળીના તહેવારની શાંતિપૂર્ણરીતે ઉજવણી કરવામાં આવી છે. પોલીસ વધુ સક્રિય થઇને આગળ વધી રહી છે.