પદ્માવત ફિલ્મના વિરોધને લઇ ગઇકાલે મોડી સાંજે કરણી સેના અને રાજપૂત સમાજના કાર્યકરો સહિતના તોફાની ટોળાઓએ શહેરના હિમાલયા મોલ, અમદાવાદ વન મોલ અને એક્રોપોલિસ ખાતેના પીવીઆર સહિતના પાંચેક મલ્ટિપ્લેક્સ ખાતે ૧૦૧થી વધુ વાહનોમાં આગચંપી અને તોડફોડના ચકચારભર્યા પ્રકરણમાં પોલીસે મુખ્ય સૂત્રધાર આરોપી એવા માસ્ટરમાઇન્ડ રાજેન્દ્રસિંહ વાઘેલા હાલ બે દિવસના પોલીસ રિમાન્ડ પર છે. બીજીબાજુ, આ મુખ્ય સૂત્રધાર રાજેન્દ્રસિંહ વાઘેલાના ભગાડી મૂકવામાં સક્રિય ભૂમિકા ભજવનાર અને ગઇકાલે સસ્પેન્ડ કરાયેલા સેટેલાઇટ પોલીસ સ્ટેશનના ત્રણ કર્મચારીઓ જોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ ઝાલા અને લાલસિંહ મસાણી વિરૂધ્ધ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ત્રણ પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ કરી દેવાતાં શહેર પોલીસતંત્રમાં પણ ભારે ચકચાર મચી જવા પામી છે. ગ્રામ્ય એલસીબી અને એસઓજી પોલીસે ગઇકાલે હાથ ધરેલા સંયુકત ઓપરેશનમાં માસ્ટર માઇન્ડ આરોપી રાજેન્દ્રસિંહ વાઘેલાની સાણંદ સ્થિત તેના મકાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શહેરના પાંચેક મલ્ટિપ્લેક્સ પર આગંચપી અને તોડફોડ પ્રકરણમાં શહેર પોલીસે હાથ ધરેલી તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ સામે આવ્યો હતો કે, શહેરમાં આગચંપી અને તોડફોડ કરી શાંતિ ડહોળવાનું કૃત્ય એ કરણીસેનાનું પૂર્વઆયોજિત કાવતરૂં હતું અને આ કાવતરૂં કરણી સેનાના રાજેન્દ્રસિંહ વાઘેલાના નેજા હેઠળ સાણંદની આદર્શનગર સોસાયટી ખાતે યોજાયેલી આગેવાનોની બેઠકમાં ઘડવામાં આવ્યું હતું. ત્યારબાદ મીટીંગમાં નક્કી થયા મુજબ કાવતરાને અંજામ આપવામાં આવ્યો હતો. જે અંગે સેટેલાઇટ પોલીસમથકમાં એક અને વસ્ત્રાપુર પોલીસમથકમાં ત્રણ એમ મળી કુલ ચાર ગંભીર ગુનાઓ આ કાર્યકરો સહિતના તોફાની ટોળાઓ વિરૂધ્ધ દાખલ કરાયા હતા. ચકચારભર્યા આ પ્રકરણમાં પોલીસે કુલ ૪૫થી વધુ આરોપીઓની ધરપકડ કરી તેઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા, જેઓ બાદમાં જામીન પર છૂટયા હતા. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓ વિરૂધ્ધ સાપરાધ મનુષ્યવધની કલમ-૩૦૮ સહિતની આકરી કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી અને તપાસ ચાલુ રાખી હતી,જેમાં પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, આ સમગ્ર પ્રકરણનો મુખ્ય સૂત્રધાર રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ રઘુભા વાઘેલા સાણંદ ખાતે આદર્શ સોસાયટીમાં તેના ઘેર આવ્યો છે, તેથી ગ્રામ્ય એલસીબી અને એસજીઓના અધિકારીઓએ ભારે ગુપ્તતાપૂર્વક ઓપરેશન પાર પાડી તેને ઝડપી લીધો હતો. મુખ્ય સૂત્રધાર રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા વાઘેલાને ભગાડી મૂકવામાં મદદગારી કરનાર સેટેલાઇટ પોલીસ સ્ટેશનના ત્રણ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી આ ત્રણેયની વિરૂધ્ધ તપાસનો દોર શરૂ કરી દેવાયો છે.