વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે મન કી બાત કાર્યક્રમમાં જુદા જુદા વિષય ઉપર વાત કરી હતી. મન કી બાત કાર્યક્રમને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, આતંકવાદે વિશ્વની માનવતાવાદી શક્તિઓને પડકાર ફેંક્યો છે. મોદીએ લોકોને તેમના વિચાર શેયર કરવા માટે અપીલ કરી હતી. મોદીએ ભાષણની શરૂઆત કર્ણાટકના બાળકો સાથે થયેલી વાતચીતના ઉલ્લેખ સાથે કરી હતી. આ ગાળા દરમિયાન મોદીએ બાળકોના પત્રો વાંચ્યા હતા. મોદીએ ઉત્તર કન્નડ જિલ્લાની કિર્તી હેગડેનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, કિર્તીએ પર્યાવરણ અંગેની માહિતી અન્ય લોકોને પહોંચાડી છે. એક અન્ય બાળકીનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, તે એક સૈનિકની પુત્રી છે અને તેમને તેના પર ગર્વ પણ છે. કેટલાક અન્ય લોકોના સૂચનોને પણ મોદીએ વાંચ્યા હતા. મોદીએ સંવિધાન દિવસ, વલ્લભભાઈ પટેલની પુણ્યતિથી, ૨૬-૧૧ મુંબઈ હુમલા, આતંકવાદ, ભારતીય નૌકા સેનાના સાહસની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત યૂરિયાના ઉપયોગમાં ઘટાડાની અપીલ કરી હતી. મોદીએ દિવ્યાંગ બાળકોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. આ ઉપરાંત હકારાત્મક બાબતો શેયર કરવા માટે મોદીએ અપીલ કરી હતી. મોદીએ પોતાના સંબોધનમાં બાબા સાહેબ આંબેડકરની વાત કરી હતી અને કહ્યું હતું કે, બંધારણની સભામાં જુદા જુદા વિષયો પર ૧૭ સમિતિની રચના થઇ હતી. જે મહત્વપૂર્ણ સમિતિઓમાંથી એક ડ્રાફ્ટિંગ કમિટિ પણ હતી જેમાં બાબા સાહેબ અધ્યક્ષ તરીકે હતા. આજે અમે ભારતના જે બંધારણ ઉપર ગર્વ કરીએ છીએ તેના નિર્માણમાં બાબા સાહેબની કુશળતા દેખાઈ આવે છે. દેશને સમૃદ્ધ અને શક્તિશાળી બનાવવામાં બાબા સાહેબની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. ૧૫મી ડિસેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ છે. મોદીએ પોતાના સંબોધનમાં સરદાર પટેલને યાદ કરતા કહ્યું હતું કે, ખેડુત પુત્રથી દેશના લોખંડી પુરુષ બનેલા સરદાર પટેલે દેશને એક કરવામાં અસામાન્ય ભૂમિકા અદા કરી હતી. સરદાર વલ્લભભાઈ પટેલ પણ બંધારણીય સભાના સભ્ય તરીકે હતા. તેઓ મૂળભૂત અધિકારો, લઘુમતિઓ અને આદિવાસીઓ પર બનેલી એડવાઇઝરી કમિટિના અધ્યક્ષ પણ હતા. મોદીએ ૨૬-૧૧ મુંબઈ હુમલામાં માર્યા ગયેલા અને શહીદ થયેલા લોકોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભારત છેલ્લા ૪૦ વર્ષથી આતંકવાદથી ગ્રસ્ત છે. નવ વર્ષ પહેલા મુંબઈ હુમલાને લોકો ક્યારેય ભુલી શકે નહીં. તે વખતે ત્રાસવાદીઓએ મુંબઈમાં હુમલો કરી દીધો હતો. દેશના લોકો સાહસી જવાનો, નિર્દોષ લોકોને આજે શ્રદ્ધાંજલિ આપે છે અને તેમને યાદ કરે છે. દેશના લોકો તેમના બલિદાનને ક્યારેય ભુલી શકશે નહીં. આતંકવાદ અંગે વાત કરતા મોદીએ કહ્યું હતું કે, આતંકવાદ આજે વિશ્વના જુદા જુદા ભાગોમાં અને દરેક જગ્યાએ સક્રિય છે. ત્રાસવાદ ખતરનાક સ્વરુપમાં છે. ભારત છેલ્લા ૪૦ વર્ષથી ત્રાસવાદથી ગ્રસ્ત છે. આતંકવાદે માનવતાવાદને પડકાર ફેંક્યો છે. વિશ્વની તમામ માનવતાવાદી શક્તિઓને એક થઇને આતંકવાદને પરાજીત કરવાની જરૂર પડશે. ભારત ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, ગુરુનાનક, મહાત્મા ગાંધીની ધરતી છે જે અહિંસા અને પ્રેમનો સંદેશ આપે છે. દેશભરમાં ખેડૂતોને ૧૦ કરોડથી વધુ સોઇલ હેલ્થ કાર્ડ આપી દેવામાં આવ્યા છે. પોતાની જમીનની માટીને વધુ સારીરીતે સમજી શકે અને તે મુજબ પાક લઇ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આનાથી ખેડૂતોની આવક વધશે. વધારે પ્રમાણમાં પાક લઇ શકશે. મોદીએ ગ્લોબલ વોર્મિંગની પણ વાત કરી હતી. તેમણે યાદ અપાવતા કહ્યું હતું કે, એક વખતે દિવાળીથી પહેલા ઠંડીની શરૂઆત થતી હતી. હવે ડિસેમ્બરમાં શરૂઆત થઇ હોવા છતાં ધીમીગતિએ ઠંડીની શરૂઆત થઇ રહી છે. શૌચાલયના ક્ષેત્રમાં મધ્યપ્રદેશના દિવ્યાંગ બાળકોનો દાખલો ટાંક્યો હતો. ઇદે મિલાદની મુસ્લિમ સમુદાયના લોકોને શુભેચ્છા પાઠવી હતી. મોદીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, માત્ર સારી ચીજોને યાદ રાખવાની જરૂર છે.