અમૃતમ યોજના અંતર્ગત બી.પી.એલ તથા ઓછી આવકવાળા લાભાર્થીઓ માટે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ તથા રાજસ્થાન હોસ્પીટલ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે હ્રદય રોગ નિદાન માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના હ્રદયના નિષ્ણાંત ડો. તરૂણ દવે દ્વારા લાભાર્થીઓની હ્રદય વાલ્વ, બાયપાસ સર્જરી તેમજ હ્રદયના અન્ય રોગોની તપાસ કરીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં હ્રદય રોગના દર્દીઓની ઇ.સી.જી (કાર્ડીયોગ્રામ) તપાસ નિઃશુલ્ક કરી આપવામાં આવી હતી. વિરમગામ ખાતે આયોજિત હ્રદય રોગ નિદાન કેમ્પમાં ડો. તરૂણ દવે, ડો.પરીંદા જણસારી, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, નીલકંઠ વાસુકિયા, ગૌરીબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. હ્રદય રોગથી બચવાના ઉપાયો અંગે રાજસ્થાન હોસ્પિટલના ડો.પરીંદા જણસારીએ જણાવ્યુ હતુ કે, હ્રદય રોગથી બચવા માટે દારૂ, બીડી, તમ્બાકુ સહિતના વ્યસન છોડી દેવા, ફાસ્ટફુડ, વેસ્ટર્ન ખોરાક જેવા વધુ તૈલી પદાર્થો ખાવાના ટાળવા જોઇએ. નિયમીત ૪૫ મીનિટ થી ૧ કલાક સુધી કસરત કરવી અને બેઠાડુ જીવનનો ત્યાગ કરવો જોઇએ. દુનિયામાં આધુનિક જીવન શૈલી જીવતા લોકોમાં સૌથી વધુ મૃત્યુ હ્રદય રોગથી થાય છે. આધુનિક હોસ્પિટલો હોવા છતા રોજના ૫૦૦૦ દર્દીઓ અચાનક હાર્ટ એટેક આવવાથી કોઇ પણ પ્રકારની જાણ થયા વગર ભારતમાં મૃત્યુ પામે છે.રિપોર્ટર :- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)