યુવાનોને યોગ્ય તાલીમ આપીને રોજગારી ઉપલબ્ધ કરાવવાના હેતુથી ૬૦ ટકા રાષ્ટ્રીય પુરુસ્કૃત અને ૪૦ ટકા રાજ્ય પુરુસ્કૃત દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના અંતર્ગત ગ્રામવિકાસ વિભાગે આજે ગાંધીનગર ખાતે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડ હેઠળ નવી ૫ એજન્સીઓ સાથે કૌશલ્ય વર્ધન તાલીમ ક્ષેત્રે વિવિધ કોર્ષ જેવા કે હાર્ડવેર એજિનિયર, કેશિયર, ઈલેક્ટ્રિકલ ટેકિનશિયન, ફુડ બેવરેજ સર્વિસિસ, સિક્યુરિટી ગાર્ડ, ઈન્વેનન્ટરી ક્લાર્ક, ઈન્ડસ્ટ્રીયલ સ્યુઇંગ મશીન ઓપરેટર વગેરે ક્ષેત્રે સમજુતી કરાર કરવામાં આવ્યા હતા. આ સમજુતી અંતર્ગત કુલ ૬૩૪૫ લાભાર્થીઓને તાલીમ આપી રોજગારી પુરી પાડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ સમજુતી કરાર પ્રસંગે ગ્રામ વિકાસ વિભાગના સચિવ અને કમિશનર મોના ખંધાર, તેમજ ગુજરાત લાઈવાલીહુડ પ્રમોશન કંપની લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર જે જી હિંગરાજીયા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં રૂરલ સેલ્ફ એમ્પલોયમેન્ટ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ દ્વારા યુવાનોને રોજગારલક્ષી તાલીમ આપીને રોજગારી અપાવવાની શ્રેષ્ઠ કામગીરી બદલ ખેડા, ગાંધીનગર, મહેસાણા અને સુરત જિલ્લાના ડીડીઓ, રૂરલ સેલ્ફ એમ્પલોયમેન્ટ ટ્રનીંગ ઈન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર અને તેમની ટીમને ગ્રામ વિકાસ વિભાગના સચિવ અને કમિશનર મોના ખંધાર, તેમજ ગુજરાત લાઈવાલીહુડ પ્રમોશન કંપની લિમિટેડના મેનેજીંગ ડાયરેક્ટર જે જી હિંગરાજીયા દ્વારા અનુક્રમે પ્રથમ, દ્ધિતીય તૃતીય અને ચતુર્થ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી બદલ પાટણ, કચ્છ, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને ભાવનગર જિલ્લાના આરસેટી ડાયરેક્ટર અને તેમની સમગ્ર ટીમનું પણ પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી અભિવાદન કરાયું હતું. અન્ને ઉલ્લેખનીય છે કે, ગત ઓગસ્ટ ૨૦૧૭માં ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કુલ ૯ એજન્સીઓ સાથે પીપીપી મોડ હેઠળ કૌશલ્ય વર્ધન તાલીમ ક્ષેત્રે સમજુતી કરાર કરવામાં આવ્યા હતા.