શહેરના સીટીએમ નેશનલ હાઇવે પર ભાજપના વિજય વિશ્વાસ સંમેલન દરમ્યાન મંત્રી શંકર ચૌધરી અને ભાજપના યુવા પ્રમુખ ઋત્વિજ પટેલનો વિરોધ કરવા કોંગ્રેસના કાર્યકરો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. ત્યારે રામોલ પોલીસે કોંગ્રેસના કોર્પોરેટર ઇલાક્ષી પટેલ સહિત ૩૦ કાર્યકરોની અટકાયત કરી હતી અને પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, કોંગ્રેસે પોલીસના આ દમનકારી વલણને વખોડી કાઢયું હતું. શહેરના સીટીએમ નેશનલ હાઇવે પર રબારી કોલોની પાસે ભરત પાર્ટી પ્લોટમાં આજે સાંજે ભાજપના વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરાયું હતું, જેમાં ભાજપના મંત્રી શંકર ચૌધરી અને ભાજપ યુવા પ્રમુખ ઋત્વિજ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ જાહેરમાં ભાજપનો રોગચાળા, સ્વાઇન ફલુ, નિર્દોષ નાગરિકોના મોત, અમદાવાદમાં ખાડાઓની પરિસ્થિતિ અને પાટીદારોની અવગણના સહિતના મુદ્દે હુરિયો બોલાવ્યો હતો. સીટીએમના કોંગ્રેસના કોર્પોરેટર ઇલાક્ષીબહેન પટેલ સહિત ૧૦૦થી વધુ કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ વિરોધી જોરદાર સૂત્રોચ્ચાર કરી નારા લગાવ્યા હતા અને વાતાવરણ ગજવી મૂકયું હતું. દરમ્યાન રામોલ પોલીસે વધુ પરિસ્થિતિ વણસે નહી તે હેતુથી કોંગ્રેસના ૩૦થી વધુ કાર્યકરોની અટક કરી હતી. જો કે, કોંગ્રેસના કોર્પોરેટર ઇલાક્ષીબહેન પટેલે પોલીસના દમનકારી વલણ અને ભાજપના અત્યાચારી શાસનને વખોડતાં જણાવ્યું હતું કે, રાજયમાં હાલ સ્વાઇન ફલુ સહિતના રોગચાળામાં સેંકડો લોકો મોતને ભેટી રહ્યા છે અને રસ્તાઓ, માર્ગોની બિસ્માર હાલત સહિતના પ્રશ્નોને લઇ પ્રજા હાલાકી ભોગવી રહી છે ત્યારે તેમની સમસ્યાઓ ઉકેલવાના બદલે ભાજપને આવા સંમેલનોના તાયફા યોજવાની માનસિકતા નિંદનીય અને વખોડવાપાત્ર છે. તેમણે લોકોની તકલીફોની ઉપેક્ષા કરવાના ભાજપના વલણની ટીકા કરી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ