અદાણી ગ્રૂપની કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસ (Adani Transmission)ને રૂ. 8500 કરોડ એકઠા કરવા માટે શેરહોલ્ડરોએ મંજૂરી આપી દીધી છે. અદાણી ટ્રાન્સમિશન હવે મોટા પાયે વિસ્તરણ કરવા અને પોતાના ગ્રોથને વેગ આપવા માટે મૂડી એકઠી કરી શકશે. ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ બેસિસ પર ઈક્વિટી શેર ઈશ્યૂ કરીને 8500 કરોડ એકત્ર કરવા માટે કંપનીને મંજૂરી મળી ગઈ છે.
કંપનીએ જણાવ્યું કે તેના 98.64 ટકા શેરહોલ્ડરોએ રિઝોલ્યુશનની તરફેણમાં વોટ આપ્યો હતો અને ફંડ એકઠું કરવાને મંજૂરી આપી હતી. આ ફંડ દ્વારા કંપની પોતાની ગ્રોથ યોજનાને આગળ વધારશે તથા જરૂરિયાત પ્રમાણે વિસ્તરણ કરશે. અદાણી ટ્રાન્સમિશનના બોર્ડ દ્વારા આ દરખાસ્તને 13 મેએ એપ્રૂવલ મળી હતી. ત્યાર પછી કંપનીએ 15 મેએ પોસ્ટલ બેલટ દ્વારા શેરહોલ્ડર્સની મંજૂરી માંગી હતી.
છેલ્લા એક મહિનામાં અદાણી ટ્રાન્સમિશનના શેરમાં 61 ટકાની આસપાસ ઘટાડો થયો છે. એક વર્ષ અગાઉ અદાણી ટ્રાન્સમિશનનો શેર 2060 પર ચાલતો હતો જે હવે ઘટીને 807 પર આવી ગયો છે. અદાણી ટ્રાન્સમિશનની 52 વીકની હાઈ સપાટી રૂ. 4236 છે જ્યારે બાવન અઠવાડિયાની નીચી સપાટી રૂ. 631 છે.
અદાણી ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ (Adani Enterprises)ના શેરમાં આજે લગભગ 4 ટકાનો ઘટાડો થતા શેર ઘટીને 2411 પર પહોંચી ગયો હતો. આ શેરની 52 વીકની હાઈ સપાટી રૂ. 4190 અને 52 અઠવાડિયાની નીચી સપાટી રૂ. 1017 છે. છેલ્લા એક વર્ષમાં આ શેરના ભાવમાં 16 ટકાનો વધારો થયો છે. પરંતુ જાન્યુઆરીથઈ અત્યાર સુધીમાં આ શેર 37 ટકા ઘટ્યો છે. છેલ્લા છ મહિનાના ગાળામાં અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર 42 ટકાથી વધારે ઘટ્યો છે.