પૂરગ્રસ્ત બનાસકાંઠામાં પૂરપીડિતો સાથે પાંચ દિવસ રહ્યાં બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બનાસકાંઠા અને પાટણ માટં ૧૫૦૦ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરી હતી. જ્યારે ધાનેરા માટે અલગ પેકજની જાહેરાત કરી છે.પૂરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પૂરગ્રસ્ત વિસ્તારો માટે કુલ ૧૫૦૦ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. બિનપિયત વિસ્તારમાં હેકટર દીઠ ૧૦ હજાર રૂપિયાની સહાય અપાશે. જ્યારે પિયત વિસ્તારમાં ૨૦ હજાર રૂપિયા, અને બાગાયતમાં ૩૦ હજાર રૂપિયાની પ્રતિ હેક્ટર સહાય કરાશે. આ ઉપરાંત નદીના પાણીથી વહેણને કારણે થયેલા ધોવાણમાં ૩૦ હજાર હેકટર દીઠ સહાય કરાશે.મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પૂરના પ્રકોપની સ્થિતિનો ચિતાર આપતા કહ્યું કે, દાંતીવાડા ડેમનું પાણી ૧૫૦ કિલોમીટરના વિસ્તારમાં ફરી વળ્યું હતુ. અહીંથી ૮૦ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે, ૨૦ હજાર લોકોના રેસ્ક્યુ કરાયા હતા. જ્યારે ધાનેરામાં સફાઈ માટે ૪૦૦ જેસીબી લગાવાયા હતા અને ૭ હજાર ૬૦૦ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરાયો હતો. પાટણ જિલ્લામાં પણ પાણીના નિકાલની કામગીરી કરાઈ અને પૂરના પાણી ઓસર્યાના ચાર દિવસમાં જ કેશ ડોલનું વિતરણ શરૂ કરાયું હતું. ૧૦ હજારની દરેક પીડિતોને સહાય ચૂકવાઈ છે.પશુ મૃત્યુમાં ૪૦ હજારની મર્યાદા નક્કી કરાઈ છે, સાચા રહી ન જાય અને ખોટા લઈ ન જાય એ માટે સરકાર કટિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આશરે ૧૫૦૦ કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો.
-ખેડૂતોના અસરગ્રસ્ત તાલુકામાં પાટણ જિલ્લાના ૪ તાલુકા અને બનાસકાંઠાના ૯ તાલુકાઓમાં ત્રણ મહિનાનું કૃષિ વીજ બિલ માફ કરાશે.
-બનાસકાંઠા અને પાટણ જિલ્લાના નક્કી કરેલા તાલુકાઓના કેબીન અને દુકાનધારકોને ૧૫ હજારની સહાય અપાશે.