એક સમયે બાળાસાહેબ ઠાકરેએ ભાજપને બતાવી આપ્યું હતું કે, ‘ભગવા અને હિંદુત્વ’ ના મેળથી કેન્દ્રની સત્તા હાંસલ કરવામાં મદદ મળી શકે છે
રામનવમી નિમિત્તે અર્થાત રવિવારના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત ભાજપને સુનાવી દીધું હતું. ઉદ્ધવ ઠાકરેએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે, ભાજપ પાસે કોઈ હિંદુત્વની ‘પેટન્ટ’ નથી. એટલું જ નહીં પરંતુ શિવસેનાના દિવંગત સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેએ ભાજપને બતાવી આપ્યું હતું કે, ‘ભગવા અને હિંદુત્વ’ના મેળથી કેન્દ્રની સત્તા હાંસલ કરવામાં મદદ મળી શકે છે. ઉદ્ધવ ઠાકરેએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપથી વિપરીત શિવસેના હંમેશાથી ‘ભગવા અને હિંદુત્વ’ને લઈ પ્રતિબદ્ધ રહી છે. જ્યારે ભાજપના ભારતીય જનસંઘ અને જનસંઘ જેવા અલગ અલગ નામો છે જે વિભિન્ન વિચારધારા પ્રસારિત કરે છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વર્ષ 2019ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કોલ્હાપુર બેઠક પર શિવસેનાના ઉમેદવારને જે હારનો સામનો કરવો પડ્યો હતો, તેના માટે ભાજપને જ જવાબદાર ઠરાવ્યું હતું. એ વાત અલગ છે, કે તે સમયે બંને પાર્ટી વચ્ચે ગઠબંધન હતું. ઉદ્ધવ ઠાકરેએ આશ્ચર્ય સાથે કહ્યું હતું કે, શું 2019ની ચૂંટણી સમયે આ બેઠક પર ભાજપનું કોંગ્રેસ સાથે કોઈ ગુપ્ત ગઠબંધન હતું ? ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, દરેક વખતે ભાજપ હિંદુત્વની વાતો કરતી ફરે છે, તો ભાજપા પાસે હિંદુત્વની પેટન્ટ નથી. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યુ હતું કે મને આશ્ચર્ય થાય છે કે, જો ભગવાન રામનો જન્મ ન થયો હોત તો ભાજપ રાજકારણમાં કયો મુદ્દો ઉઠાવત? કારણ કે, સત્તામાં આવ્યા બાદ ભાજપ પાસે મુદ્દાઓની ઉણપ છે અને એટલે જ તે ધર્મ અને નફરત ફેલાવવાની વાતો કરી રહ્યું છે.