ઉત્તરપ્રદેશના શેરડી વાવતા ખેડૂતોને વળતર મળવામાં કેટલીયે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગજબની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, વધારે શુગર ખાવાથી ડાયાબિટિસિ થાય છે, એટલે ખેડૂતો શેરડી ઓછી વાવે.
ભાજપના વિવિધ નેતાઓ પાસે ‘આશ્ચર્યજનક’ જ્ઞાન છે. ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેવ સહિત ભાજપના અનેક નેતાઓના નિવેદનોને કારણે કેટલાક વાર હાસ્ય તો કેટલીક વાર વિવાદ પેદા થાય છે. હવે આ શ્રેણીમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ સામેલ થઈ ગયા છે. યોગીએ ખેડૂતોને સલાહ આપી કે, શેરડીનું વાવેતર ઓછું કરે, કારણે કે શુગર વધારે ખાવાથી ડાયાબિટિસ થાય છે.
યોગી આદિત્યનાથે પશ્ચિમ ઉત્તરપ્રદેશના બાગપતમાં કહ્યું કે, અન્ય પાકોનું વાવેતર કરો પરંતુ શેરડીના વધારે વાવેતરથી સુગરની માંગ પણ વધે છે અને એના કારણે લોકોને ડાયાબિટિસ જેવી બિમારી થઈ જાય છે.
વાસ્તવમાં યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને કેન્દ્રીય રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી અને પ્રધાન વીકે સિંહ બાગપતમાં એક નેશનલ હાઈવેના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.