રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીએ શિક્ષકોને વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રક્રિયામાં સહભાગીદાર બનાવી તેમનામાં જિજ્ઞાસાવૃતિ વધે તેવુ શિક્ષણ આપવાની હિમાયત કરી હતી. શિક્ષણ માત્ર રોજગારલક્ષી કે આર્થિક ઉપાર્જનનું સાધન ન બની રહે તે જોવાનો અનુરોધ કરતાં રાજ્યપાલશ્રીએ ભારતીય પરંપરાઓને અનુરૂપ પ્રાચીન અને અર્વાચીનના યુગાનુકુલ સંતુલન સાથે ભાવિપેઢીને કર્મઠ અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
સંસ્કાર નગરી વડોદરામાં ગઇકાલે ઢળતી સંધ્યાએ ધી ઓપન પેજ મેગેઝીન અને એલેમ્બિક ગૃપ ઑફ સ્કૂલના સંયુકત ઉપક્રમે યોજાયેલા ચોથા એજ્યુકેટર્સ એવોર્ડમાં રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીએ વિવિધ ૧૨ જેટલી કેટગરીમા શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડનું વિતરણ કર્યુ હતું. રાજ્યપાલશ્રીએ શિક્ષણ ક્ષેત્રે અવિરત સેવા કરતા વેટરન શિક્ષણવિદોનું પણ સન્માન કર્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે એજ્યુકેટર્સ એવોર્ડ માટે રાજ્યભરમાંથી ૫૦૦ જેટલી એન્ટ્રી મળી હતી. જે પૈકી ૨૬૭ એન્ટ્રીઓ પસંદગી પામી હતી. દરેક કેટેગરીમાં પાંચ એમ કુલ ૧૨ કેટેગરીમાં ૬૦ શિક્ષકોને પસંદ કરવામાં આવ્યા હતા. જે પૈકી શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યા હતા.
રાજ્યપાલશ્રીએ શિક્ષકોને પ્રભાવશાળી રીતે પોતાની વાત વિદ્યાર્થીઓમાં ઉતારી વિદ્યાર્થીઓમાં વિનમ્રતા, કરૂણા અને સંવેદનાના ભાવ જગાવવા અનુરોધ કર્યો હતો.
આ અવસરે પધ્મવિભૂષણ લોર્ડ ભીખુ પારેખ, એમ.એસ.યુનિ.ના વાઇસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસ, એરફોર્સ કમાન્ડર બી.વી.ઉપાધ્યાય, એલેમ્બિક ગૃપ ઓફ સ્કૂલના ટ્રસ્ટીશ્રી પ્રણવ અમીને પ્રસંગોચિત પ્રવચન કરતાં જણાવ્યુ કે સમગ્ર સમાજ અને વિશ્વમાં પરિવર્તન લાવવા માટેનું સૌથી શક્તિશાળી શસ્ત્ર શિક્ષણ છે.
પ્રારંભમાં ધી ઓપન પેજના ચીફ એડિટર અર્ચિત ભટ્ટે સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યુ કે શિક્ષકોના અસાધારણ યોગદાનને બિરદાવવા માટે એજ્યુકેટર્સ એવોર્ડ આપવામાં આવે છે.
આ અવસરે શિક્ષણ વિદો, શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ, ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહીલે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિજયસિંહ વાઘેલા, સહિત વિશાળ સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા.