Aapnu Gujarat
ગુજરાત

રીઢા ઢોરમાલિકોને પાસા હેઠળ જેલની સજા કરવાની વિચારણા

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મહત્વપૂર્ણ સોગંદનામું રજૂ કરી જાહેર કરવામાં આવ્યું હતું કે, શહેરમાં રખડતા ઢોરો જાહેરમાર્ગો પર છૂટા મૂકી ત્રાસ ફેલાવનાર ઢોરમાલિકો સામે ફરજિયાત રીતે એફઆઇઆર દાખલ કરવામાં આવશે. એટલું જ નહી, આવા કસૂરવાર ઢોરમાલિકોને પાસા હેઠળ જેલમાં ધકેલવાની પણ વિચારણા ચાલી રહી છે. આ માટે કડક કાયદો લાવવાની પણ તજવીજ ચાલી રહી છે. હાઇકોર્ટે અમ્યુકોનું સોગંદનામું રેકર્ડ પર લઇ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં રાખી છે. રખડતા ઢોરોના ત્રાસના મામલે થયેલી રિટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ધર્મેન્દ્ર શાહે સોગંદનામું રજૂ કરી જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં હાલ પચાસ હજાર જેટલા રખડતા ઢોર હોવાનો અંદાજ છે. અમ્યુકોએ રખડતા ઢોરોનો ત્રાસ નિવારવા તેને પકડવાની અને આ માટે કસૂરવાર કે જવાબદાર ઢોર માલિકો વિરૂધ્ધ કાર્યવાહીની પ્રક્રિયા વધુ તેજ અને અસરકારક બનાવી છે. ખાસ કરીને રખડતા ઢોરોને જાહેરમાર્ગ પર છૂટા મૂકી દેનાર ઢોરમાલિકો વિરૂધ્ધ એફઆઇઆર ફરજિયાતપણે દાખલ કરવામાં આવશે. વધુમાં જો ત્રણ વખત એફઆઇઆર નોંધાશે તો તેવા રીઢા ઢોર માલિકોને પાસા હેઠળ જેલ ભેગા કરવાની દરખાસ્ત પણ તૈયાર કરવામાં આવી રહી છે અને તે તૈયાર થયેથી પોલીસવિભાગને મંજૂરી અર્થે મોકલી અપાશે. અમ્યુકો તંત્રની પોલીસ વિભાગ સાથે મળીને હાથ ધરાયેલી અસરકારક કામગીરીને પગલે શહેરમાં ઢોર પકડવામાં આશરે ૨૫૦ ટકાનો વધારો જયારે ઢોર છોડવામાં આશરે ૬૫ ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજીબાજુ, અમ્યુકોના સીએનસીડી ખાતા દ્વારા ઢોર પકડવાની કામગીરી વધુ અસરકારક રીતે થઇ શકે તે હેતુથી વિભાગમાં સીએનસીડી સુપ્રિટેન્ડન્ટની જગ્યા તેમ જ અન્ય ખાલી ૫૨ જગ્યાઓ ભરવા, ઉપરાંત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(વહીવટ) અને ખૂટતા ૨૧ પોલીસ સ્ટાફની જગ્યા ભરવા રાજયના પોલીસ મહાનિર્દેશક(ડીજીપી)ને પત્ર પાઠવી માંગણી કરાઇ છે. દરમ્યાન ઢોર પકડવાની કામગીરી અસરકારક બનાવવા કાયદામાં સુધારો કરી તે મુજબની ફરિયાદ ઢોર માલિકો વિરૂધ્ધ થાય તેવું ફોર્મેટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા લાગુ કરાયું છે અને સાથે સાથે ગુજરાત કીપીંગ એન્ડ રીસ્ટ્રીકટીંગ મુવમેન્ટ ઓફ કેટલ ઇન અર્બન એરિયાઝ કંટ્રોલ એકટ-૨૦૧૭માં જરૂરી સુધારો કરવા પણ અમ્યુકો દ્વારા રાજયના શહેરી વિકાસ વિભાગ અને ગૃહવિભાગને દરખાસ્ત કરવામાં આવી છે.

Related posts

ઈમરજન્સી સમયે દૂરદર્શન કોંગ્રેસનાં ગુણગાન ગાતું હતું : અમિત શાહ

aapnugujarat

કરોડો-કરોડો લોકોની શ્રદ્ધા અને આસ્થા પર આતંકવાદીઓએ એટેક કરીને જઘન્ય, માનવતા વિરોધી અને રાક્ષસી કૃત્ય કર્યું છે : ભરત પંડયા

aapnugujarat

જવાહર ચાવડાને પ્રવાસન, મત્સ્યોદ્યોગ ખાતુ મળ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1