દેશમાં લોકસભા ચૂંટણી ઢૂંકડી છે ત્યારે રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યાં બાદ આરએસએસના સહકાર્યવાહક ભૈયાજી જોશી સતત આ મામલે નિવેદનો આપી રહ્યાં છે. ભૈયાજી જોશીએ કહ્યું કે અમે માનીએ છીએ કે સત્તામાં બેઠેલા લોકોને હાલ રામ મંદિરનો વિરોધ નથી. તેમની પ્રતિબદ્ધતાને લઈને અમે મનમાં કોઈ શંકા કરી શકીએ નહીં. ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરતા ભૈયાજી જોશીએ કહ્યું કે આરએસએસ ૧૯૮૦-૯૦થી અયોધ્યાની ભૂમિ પર રામ મંદિરના નિર્માણ માટે સંઘર્ષ કરી રહ્યું છે. જ્યાં સુધી મંદિરનું નિર્માણ પૂરું ન થાય ત્યાં સુધી આ આંદોલન ચાલશે. તેમણે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટ પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે તેઓ જેમ બને તેમ જલદી આ મુદ્દે ચુકાદો આપી દે.ઉલ્લેખનીય છે કે આ અગાઉ પ્રયાગરાજમાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું હતું કે રામ મંદિર વર્ષ ૨૦૨૫માં બનશે. તેની પહેલા જોશીએ કુંભના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે એવું લાગે છે કે કેન્દ્રમાં ફરીથી સરકાર બનાવ્યાં બાદ પણ મોદી સરકાર રામ મંદિરના નિર્માણને લઈને કોઈ પહેલ કરશે નહીં.
આગળની પોસ્ટ