લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં નવાજૂની થવાના એંધાણ છે. જસદણ પેટાચૂંટણી જીતી ભાજપની લાજ રાખનારા કુંવરજી બાવળિયાને દિલ્હીનું તેડું આવ્યું છે. ધારાસભ્ય તરીકેની શપથ લેતા પહેલા બાવળિયાને દિલ્હી બોલાવવામાં આવતા તેઓ વિંછીયાના કાર્યક્રમો રદ કરી દિલ્હી પહોંચ્યા છે. જસદણની પેટાચૂંટણીમાં જીત બાદ તેઓ પહેલીવાર પીએમ મોદી અને અમિત શાહને મળે તેવી શક્યતાઓ છે. સાથે જ કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાને પણ કુંવરજી બાવળિયા મળશે. મળતી માહિતી મુજબ કુંવરજી બાવળીયાને લોકસભાની ચૂંટણીની મોટી જવાબદારી સોંપાઈ શકે છે.૨૦૦૭ની ચૂંટણીમાં ગુજરાતમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વચ્ચે પણ કુંવરજીએ જસદણનો ગઢ સાચવી રાખ્યો.
૨૦૦૭માં કોંગ્રેસ તરફથી કુંવરજી બાવળિયાએ ૨૫ હજાર ૬૭૯ મતોથી ભવ્ય જીત મેળવી હતી. કુંવરજીને મળેલી આ લીડ એ જસદણના ઇતિહાસમાં એક વિક્રમ છે. જે બાદ ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં કુંવરજીએ ભાજપનો ગઢ ગણાતી રાજકોટ બેઠક આંચકી લેતા કોંગ્રેસમાં તેમનું કદ વધુ મોટું થયું. તો ૨૦૧૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ કુંવરજીએ જીત મેળવતા તેમને દબદબો યથાવત્ રહ્યો. પરંતુ ૨૦૧૭ની ચૂંટણી બાદ કુંવરજીએ કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરિયો ખેસ ધારણ કર્યો. ભાજપમાં પ્રવેશ કરતાની સાથે જ તેમને સીધું જ કેબિનેટ પ્રધાનનું પદ મળ્યું છે. જેઓ ભાજપના કદાવર નેતા ગણાવા લાગ્યા છે.
આગળની પોસ્ટ