Aapnu Gujarat
ગુજરાત

વિનય શાહ પ્રકરણ : સીઆઈડી ઓફિસ પર બીજા દિવસે ધસારો

તાજેતરમાં ઓનલાઈન જાહેરાત જોવાના બહાને એકના ત્રણ ગણા પૈસા કરવાની લાલચ આપીને રૂ.૨૬૦ કરોડનું કૌભાંડ આચરનાર વિનય શાહની નેપાળ પોલીસે ધરપકડ કરી છે. જેના પગલે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ઓફિસમાં રોકાણકારોનો ધસારો શરૂ થયો છે. લોકો વહેલી સવારથી સીઆઈડી ઓફિસ બહાર પોતાના પૈસા પરત મળે તેની આશા લઈ નિવેદન નોંધાવવા આવી રહ્યા છે. જેમાં ૨૫ મુકબધિરો પણ ભોગ બન્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે અને કડીમાં જ એક કરોડનું રોકાણ હોવાના નિવેદનો નોંધવામાં આવ્યા છે. બીજીબાજુ, વિનય શાહે તેના પાલડી ખાતેના યુનિયન ફલેટના ગ્રાઉન્ડ ફલોર અને ફર્સ્ટ ફલોર પર ગેરકાયદે બાંધકામ કર્યુ હોવાની વિગતો પણ હવે સામે આવી રહી છે, તેથી તે દિશામાં પણ તંત્રએ તપાસ હાથ ધરી છે. આજે વહેલી સવારથી જ સંખ્યાબંધ રોકાણકારો સીઆઇડી ક્રાઈમની ઓફિસે પહોંચીને તેઓની સાથે થયેલી છેતરપિંડીની વ્યથા પોલીસને જણાવી પોતપોતાના નિવેદનો નોંધાવતા જોવા મળ્યા હતા. સીઆઈડી દ્વારા નિવેદન નોંધવવા આવેલા રોકાણકારો પાસે તેમનું નામ, મોબાઈલ નંબર, ક્યા એજન્ટ પાસે રોકાણ કરાવ્યું, કુલ કેટલા રૂપિયાનું રોકાણ કર્યું, કેટલા રૂપિયા વાળો પ્લાન લીધો હતો. બેંક ખાતાની વિગતો, પાન કાર્ડ અને આધાર કાર્ડની વિગતો માંગવામાં આવી રહી છે. એક મહિલા રોકાણકારે જણાવ્યું કે, તેમના પતિને આ સ્કીમ વિશે વાતચીત કરતા તેઓએ રોકાણ કરવાની ના પાડી હતી. પરંતુ તેમની બહેનપણીએ આ સ્કીમમાં રોકેલા પૈસા ત્રણગણા થઇને પાછા આવતા લાલચમાં આવીને તેમણે પણ ૨૫૦૦૦ વાળા ચાર આઈડી લીધાં હતાં તેમજ ઘરમાં ટીવી લાવવા માટે અનેકવાર કહ્યું હોવા છતાં ટીવી લાવવાની જગ્યાએ સ્કીમમાં પૈસા રોક્યા હતા. અન્ય એક મહિલા રોકાણકારે જણાવ્યું હતું કે, આ સ્કીમમાં મારી એજન્ટ મિત્ર કલ્પના કથીરિયાએ મને સ્કીમમાં રોકાણ કરાવ્યું હતું. એજન્ટ મિત્રએ જણાવ્યું હતું કે મારા પર વિશ્વાસ રાખ પૈસા પરત આવશે. જેમાં મારા અને ઘરના સભ્યોના મળીને કુલ પાંચેક આઈડી ખોલાવ્યા હતા. હવે પૈસા પરત માંગીએ છીએ તો તેઓ કંઇ વાત જ કરતાં નથી. વિનય શાહની જાળમાં અનેક મહિલાઓ પણ ફસાઈ છે. આ પ્રકારની સ્કીમમાં રોકાણ કરવાની પતિની ના છતાં અનેક મહિલાઓએ સ્કીમમાં રોકાણ કરતા હવે પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે. આ જ પ્રકારે વધુ એક મહિલા રોકાણકારે પણ હૈયાવરાળ ઠાલવી કે મારી બહેનપણીએ રોકાણ કર્યું હતું અને તેને પૈસા આવતા બે આઈડી પર રોકાણ કર્યું હતું. હવે પૈસા તો ગયા છે પણ પૈસા પરત આવશે તેવી આશા છે. અમે સીજી રોડ ખરીદી કરવા જઈએ છીએ તેવું ઘરમાં કહી અને સીઆઈડી ક્રાઈમમાં નિવેદન નોંધાવવા આવ્યા છીએ. વિનય શાહે સામાન્ય લોકો જ નહીં પરંતુ અમદાવાદના ૨૫ જેટલા મૂકબધિરોને પણ છેતર્યા છે. રોકાણ કરી પૈસા ગુમાવનારા મૂકબધિરો પણ આજે સીઆઈડી ક્રાઈમમાં નિવેદન નોંધાવવા માટે પહોંચ્યાં હતાં. તેમને એક એજન્ટ દ્વારા રોકાણ કરાવવામાં આવ્યું હતું. તમામ મૂકબધિર યુવકોએ પોતાની માહિતી લેખિતમાં સીઆઈડી ક્રાઈમને સોંપી હતી. વિનય શાહને અહીં લવાયા બાદ સમગ્ર કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવશે તેવું તપાસનીશ એજન્સી માની રહી છે.

વિનયને અમદાવાદ લાવવામાં વિલંબ થાય તેવી શકયતા
એકના ત્રણ ગણાં કરી આપવાની લાલચ આપી લાખો રોકાણકારોના રૂ.૨૬૦ કરોડનું ફુલેકું ફેરવનાર ગુજરાતના મહાઠગ વિનય શાહને નેપાળથી અહીં અમદાવાદ લાવવામાં હજુ થોડો વિલંબ થાય તેવી શકયતા છે. નેપાળના કાયદા અને આંટીઘૂંટીઓ વચ્ચે વિનય શાહ ત્યાં અટવાઇ પડયો છે. ભારત ખાસ કરીને ગુજરાતની તપાસનીશ એજન્સી વિનય શાહનો જેમ બને એમ જલ્દી કબજો મેળવવાની રાહ જોઇ રહી છે. વિનય શાહ ભલે નેપાળમાં પકડાઈ ગયો હોય, પરંતુ તેને નેપાળથી પરત લાવવાનું કામ એટલું સહેલું નથી. ભારત-નેપાળ વચ્ચે ૧૯૬૩ની સાલમાં થયેલી પ્રત્યાર્પણ સંધિ જ વિનયને પરત લાવવાના માર્ગમાં મોટું વિધ્ન બની રહી છે. વિનયને ઝડપભેર ભારત લાવવા સીઆઈડી ક્રાઈમ ગમે એટલા દાવા કરે પણ હકીકત એ છે કે જે ગુના હેઠળ બંને દેશ ભાગેડુ આરોપીઓની એકબીજાને સોંપણી કરી શકે તેમાં નાણાંકીય ગોલમાલ કે છેતરપિંડીમાં સંડોવાયેલા ગુનેગારને પરસ્પર સોંપવાનો કોઇ ઉલ્લેખ નથી. સીઆઇડી ક્રાઇમે આપેલી વિગતો મુજબ વિનય નેપાળમાં ૩૧ લાખનું મૂલ્ય ધરાવતા વિદેશી ચલણ સાથે પકડાયો હોવાથી તેની સામે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેટરી એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાયદાની જોગવાઇ મુજબ આરોપી જેટલા વિદેશી ચલણ સાથે પકડાયો હોય તેના ત્રણ ગણી રકમ દંડ તરીકે ભરે તે પછી જ તેનો છૂટકારો થાય છે અને જો ન ભરે તો ૩ વર્ષની જેલની સજાની જોગવાઇ છે. હવે વિનય પાસે સજાના આ બે વિકલ્પ ઉપલબ્ધ બને તો સ્વાભાવિકપણે તે ગુજરાતમાં ગુનાની તપાસમાંથી બચવા જેલની સજાનો વિકલ્પ પસંદ કરી શકે છે. આથી સીઆઈડી ક્રાઈમ ભારત અને નેપાળ વચ્ચેની પાંચ દાયકા જૂની પ્રત્યાર્પણ સંધિનો સહારો લઇ શકે છે. જો કે આ કાયદાની જોગવાઇ એક કોઠા સમાન છે જે વિંધી શકાય તેમ નથી. ભારત-નેપાળ ૧૯૬૩ પ્રત્યાર્પણ સંધિના પરિશિષ્ટ ૨(બી)ના અનુચ્છેદ ૩ની શરતો પણ આકરી છે. જેમાં બંને દેશ વચ્ચે નીચે ઉલ્લેખ કરાયેલા ૧૭ ગુના હેઠળના આરોપીઓની પરસ્પર સોંપણી થઈ શકે છે. જે મુજબ, હત્યા અથવા હત્યાનો પ્રયાસ કે કાવતરું, સદોષ માનવવધ, જીવલેણ ઈજાઓ પહોંચાડવી, બળાત્કાર, ધાડ પાડવી, હાઈવે પર લૂંટ, હિંસક લૂંટ-ધાડ, ઘરફોડ ચોરી, આગચંપી, સશસ્ત્ર દળોમાંથી હાંકી કાઢવા, પ્રતિબંધિત માલ-સામાનની આયાત-નિકાસ, જાહેર કર્મચારી કે અધિકારી દ્વારા ઉચાપત, રૂ. ૫૦૦થી વધુના મૂલ્યની માલ-મિલ્કત અથવા ઢોર-ઢાંખરની ચોરી, અપહરણ અથવા ગોંધી રાખવું, છેતરપિંડી, નાણાંની હેરફેર અથવા બનાવટી ચલણી નોટોને ફરતી કરવી, જાહેર કર્મચારી દ્વારા ગેરકાયદે તરફદારીનો સ્વીકાર, આ ગુનાઓ હેઠળ દોષી ઠેરવાયા બાદ સજા ભોગવતી વેળાએ જાપ્તામાંથી ભાગી જવું. આમ, આ ૧૭ ગુના હેઠળના આરોપીઓની પરસ્પર સોંપણી થઇ શકે છે. નેપાળના કાયદા મુજબ, ગુનો કર્યો હોય તે સ્થળે ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી આરોપીને અન્ય દેશમાં ટ્રાન્સફર ન કરી શકાય. નેપાળમાં ગુના બદલ કોઈ પણ આરોપી દંડ ભરે તો તેનો તાત્કાલિક છૂટકારો થાય છે અને પછી તે ગમેત્યાં જવા મુક્ત રહે છે. જો ગુનેગાર સજા ભોગવવા તૈયાર થાય તો તે સજા પૂર્ણ થયા બાદ પણ ગુનેગાર પર પોલીસની કોઈ કસ્ટડી રહેતી નથી. ગુનેગાર મુક્ત થઈ જાય તે સાથે જ તેને પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ પણ તાત્કાલિક સોંપી દેવાય છે. ગુનેગાર મુક્ત થયા બાદ તે પોતાની મરજી મુજબના કોઈ પણ દેશમાં જઈ શકે છે.

Related posts

अहमदाबाद शहर में स्थित १.४५ लाख एलईडी के लिए ३३ करोड़ से अधिक की रकम खर्च होगी

aapnugujarat

હાફુસ-કેસર કેરીના ભાવ ઉંચા રહેવાના સંકેત

aapnugujarat

શહેરમાં સ્વાઈનફલૂનો કહેર યથાવત જુન મહિનામાં ૧૫ કેસ સપાટીએ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1