યોગ ગુરુ સ્વામી રામદેવે ધનતેરસના ખાસ ત્યોહાર પર ગારમેન્ટ્સ ઉદ્યોગમાં ઝંપલાવ્યું છે. સ્વામી રામદેવે સોમવારે પતંજલિ ’પરિધાન’ નામના એક એક્સક્લુઝિવ શોરૂમનું ઉદ્ઘાટન કર્યું છે. ધનતેરસના દિવસે પતંજલિ ’પરિધાન’નો પ્રથમ શોરૂમ દિલ્હીના પીતમપુરા સ્થિત નેતાજી સુભાષ પ્લેસના અગ્રવાલ સાઇબર પ્લાઝામાં ખોલવામાં આવ્યો છે. પરિધાન સ્ટોરમાં ૩૦૦૦ થી વધુ પ્રોડક્ટ મળશે. પતંજલિનાં આ શોરૂમમાં ડેનિમથી લઇને એથનિક વેર સુધી બધું જ વેંચાશે.સ્વામી રામદેવે જણાવ્યું કે પતંજલિ ’પરિધાન’માં પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના તમામ પ્રકારના કપડાં મળશે. તેમાં ડેનિમ વેર, એથનિક વેર, કેઝ્યુઅલ વેર અને ફોર્મલ વેર શામેલ છે. સ્વામી રામદેવે ઘોષણા કરતા જણાવ્યું કે આ સ્ટોર પર ગ્રાહકોને તમામ પહેરવેશ પર ૨૫ ટકાની છૂટ મળશે.પતંજલિ ’પરિધાન’ હેઠળ કપડાની ત્રણ બ્રાંડ્સ ’લિવફિટ’, ’આસ્થા’ અને ’સંસ્કાર’ બ્રાન્ડ્સને લોન્ચ કરવામાં આવી છે. પતંજલિના અનુસાર, આ વેંચરથી દેશમાં આર્થિક સ્વતંત્રતા આવશે. ’પરિધાન’ને દેશભક્તિથી જોડતા પતંજલિએ જણાવ્યું કે ’ધ્વજ રાષ્ટ્રની આન-બાન-શાન હોય છે, પહેરવેશ વ્યક્તિના વ્યક્તિત્વની ઓળખ અને સન્માન હોય છે.પતંજલિ ’પરિધાન’ હેઠળ સૌથી વધુ ચર્ચા તેના જીન્સની છે. નોંધનીય છે કે પતંજલિનાં ગારમેન્ટ ઉદ્યોગમાં ઝંપલાવવાની વાતથી પતંજલિ જીન્સની ચર્ચા સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ હતી. એક વખત પતંજલિના આચાર્ય બાળકૃષ્ણએ પણ જણાવ્યું હતું કે જીન્સની લોકપ્રિયતા એટલી છે કે તેને ભારતીય સમાજથી અલગ કરી શકાય નહીં, હવે આપણે તેનો બહિષ્કાર કરી શકીએ છીએ, અથવા તેમા આપણી પરંપરા પ્રમાણે બદલાવ કરી શકીએ છીએ. પતંજલિ એક વાત સ્પષ્ટ કરી છે કે તેના જીન્સની સ્ટાઇલ, ડિઝાઇન અને ફેબ્રિકમાં ભારતીયતા હશે અને તે ખૂબ આરામદાયક પણ હશે.