ભારતમાં સોનાની માંગ જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ૧૦ ટકા વધીને ૧૮૩.૨ ટન થઈ હતી. આ ગાળામાં સોનાના ભાવ ઘટ્યા હોવાથી લોકોએ ખરીદીની તક ઝડપી લીધી હતી.વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે કહ્યું હતું કે ઓક્ટોબરમાં ભાવ વધી ગયા અને નાણાકીય તરલતાની સમસ્યાને કારણે ધનતેરસ-દિવાળીના તહેવારોમાં સોનાની ખરીદી પ્રમાણમાં ઓછી જોવા મળે તેવી શક્યતા છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે ’કવાર્ટર૩ ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્સ’ રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે, જે મુજબ ભારતમાં સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં વોલ્યુમની દૃષ્ટિએ ૧૦ ટકા અને વેલ્યૂ (મૂલ્ય)ની દૃષ્ટિએ ૧૪ ટકા વૃદ્ધિ થઈ હતી. મૂલ્યની દૃષ્ટિએ સોનાની માંગ ૫૦,૯૦૦ કરોડ થઈ હતી, જે ગયા વર્ષે આ ગાળામાં ૪૩,૮૦૦ કરોડ હતી.
જોકે ડોલર સામે રૂપિયો નબળો પડ્યો તેને કારણે સોનાના સ્થાનિક ભાવ ઝડપથી ઊંચકાઈને ૩૩,૦૦૦ની નજીક પહોંચી ગયા હતા, જેને કારણે સોનાની માંગ પર અસર થઈ હતી.
તેમણે કહ્યું હતું કે ભારતમાં ગોલ્ડ માટે જાણીતા રાજ્ય કેરળમાં પૂરને કારણે ખાસ્સો વિનાશ વેરાયો જેને કારણે સોનાની માંગ પર અસર થઈ હતી. ત્યાર બાદ શ્રાદ્ધપક્ષના દિવસો હોવાથી માંગ પર અસર થઈ હતી.
ઓક્ટોબરથી ડિસેમ્બરનો ગાળો તહેવારો-પ્રસંગોનો ગાળો હોય છે અને તે દરમિયાન સોનાની માંગ ખાસ્સી વધારે જોવા મળે છે. જોકે નાણાકીય તરલતાની સમસ્યા જોવા મળી રહી છે અને બીજી તરફ સોનાના ભાવ પણ ૩૦,૦૦૦ આસપાસથી વધીને ઝડપથી ૩૩,૦૦૦ થઈ જતાં માંગ પર અસર થશે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મતે ૨૦૧૮-’૧૯ના સમગ્ર વર્ષ દરમિયાન ભારતમાં સોનાની માંગ ૭૦૦-૮૦૦ ટનની રેન્જમાં રહેશે તેવો અંદાજ છે.સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં જ્વેલરીની માંગ ૧૦ ટકા વધીને ૧૪૮.૮ ટન થઈ હતી. ગયા વર્ષે આ ગાળામાં માંગ ૧૩૪.૮ ટન હતી.
મૂલ્યની દૃષ્ટિએ જ્વેલરીની માંગ ૧૪ ટકા વધીને ૪૦,૬૯૦ કરોડ થઈ હતી. નોંધપાત્ર બાબત એ છે કે ભારતીય રિઝર્વ બેંકે સપ્ટેમ્બરમાં સોનાની ખરીદી કરી હતી. આરબીઆઇએ ૧૩.૭ ટન સોનું ખરીદ્યું હતું. રિઝર્વ બેંકે આ વર્ષમાં કુલ ૨૧.૮ ટન સોનું ખરીદ્યું છે.